Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

રેલવે પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લૂંટ કરાઈ છે : કોંગી

બેરોજગાર યુવાનોને મોટી ફટકાર સરકારે લગાવી : બેરોજગાર યુવાનોની પાસેથી છેલ્લા ચાર જ વર્ષમાં ૯૦૦ કરોડની જંગી રકમ લૂંટી લેવામાં આવી : દોશીનો આક્ષેપ

અમદાવાદ,તા.૭ : દેશમાં રેલ્વે ભરતી બોર્ડ દ્વારા વિવિધ કેડર ભરતી પરીક્ષામાં સરકાર માટે આવકનું સાધન બની ચુકી છે. મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બેરોજગાર યુવાનો રેલ્વેમાં નોકરી માટે પોતાની ભવિષ્ય બનાવવા માંગે છે તેમની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં ૯૦૦ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ પરીક્ષા ફી પેટે લુંટ ચલાવી છે. મોદી સરકાર ૨ કરોડ નોકરીઓ વર્ષે આપવાની વાત કરી સત્તામાં આવી હતી. હકીકતમાં મોદી સરકારે નોકરી આપવાનું એકબાજુ રહ્યું પણ નોકરી છીનવાનું કામ કર્યું છે. મોદી સરકારે દેશના યુવાનોને રાહત આપવાને બદલે પરીક્ષા ફીમાં ૮૫૦ ટકાનો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મુશ્કેલીમાં મુકી લાખો બેરોજગાર યુવાનો પાસેથી ૯૦૦ કરોડની ઉઘાડી લુંટ ચલાવનાર મોદી સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩માં જે બેરોજગાર યુવાન-યુવતી રેલ્વેમાં નોકરી મેળવવા માંગતા હોય તેઓ પાસે પરીક્ષા ફી પેટે ૯ કરોડ રૂપિયા વસુલવામાં આવી હતી. જ્યારે પછીના ચાર વર્ષમાં એટલે ૨૦૧૮ સુધીમાં બેરોજગાર યુવાનો પાસે મોદી સરકારે ૯૦૦ કરોડ રૂપિયા જેટલી જંગી વસુલાત કરી છે. વર્ષ ૨૦૧૩માં પરીક્ષા ફી ૬૦ રૂપિયા હતી. જે વર્ષ ૨૦૧૬માં અધધ વધારો કરી મોદી સરકારે ૫૦૦ એટલે પરીક્ષા ફીમાં ૮૫૦ ટકા જેટલો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મોટી ફટકાર લગાવી છે. રેલ્વે પરીક્ષા બોર્ડે શરત રાખી હતી કે, બેરોજગાર પરીક્ષા આપે તો ૪૦૦ પરત આપવામાં આવશે અને જે પરીક્ષામાં ગેરહાજર રહેશે તેને પરીક્ષા ફી પરત મળશે નહિ. રેલ્વે ભરતી બોર્ડ દર વર્ષે પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. ૨૦૧૫ સુધી એસસી, એસટી અને મહિલા ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નહોતી પણ મોદી સરકારે ૨૦૧૮માં ૨૫૦ ફી લેવાનું શરૂ કર્યું. રેલ્વે પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા ફીના નામે કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવી રહ્યો છે. રેલ્વે ભરતી બોર્ડ જે લોકોએ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેમને બોર્ડના નિયમ મુજબ ૪૦૦ પ્રતિ પરીક્ષાર્થી પરત આપવાના નિયમને આજદિન સુધી અમલ કર્યો નથી. મોદી સરકારમાં એક તરફ વિદેશ યાત્રા અને જાહેરાતો પાછળ ૬૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. મોદી સરકારની નીતિના લીધે દેશ પર ૨૦૧૪ની સરખામણીએ ૮૨ લાખ કરોડનું દેવું થયું એટલે કે, દેવામાં ૪૯ ટકાનો વધારો થયો. નોટબંધી અને જીએસટીની અવ્યવસ્થાના કારણે ૨૦૧૮માં ભારતમાં મોદીની વાહવાહી કરવા ૨૦૦ કરોડની જુદી જુદી પ્રસિદ્ધિ માટેની સાહિત્ય પસ્તીમાં ગયું તો બીજુ બાજુ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લુંટ ચલાવનાર મોદી સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે.

 

 

(9:47 pm IST)