Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

નિયત સમયે જ ૨૦૨૨ના અંતમાં ચૂંટણી યોજાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વહેલી ચૂંટણીની અટકળોને ફગાવી : મંત્રી રમણ પાટકરે આપેલા નિવેદનને નકારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કહ્યું હતું કે ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઈ તથ્ય નથી

ગાંધીનગર,તા. : ૨૦૨૨ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવાની છે તેવી અટકળો પર સીએમ રુપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. સીએમે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં સમયસર ચૂંટણી યોજાવાની છે. રુપાણી સરકારમાં મંત્રી રમણ પાટકરે અંગે આપેલા નિવેદનને નકારતા રુપાણીએ કહ્યું હતું કે ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઈ તથ્ય નથી. રાજ્યમાં આમ તો વિધાનસભા ચૂંટણી યોજાવાને હજુ બે વર્ષની વાર છે, પરંતુ ગઈકાલે રુપાણી સરકારના એક મંત્રીએ વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે તેવું એક નિવેદન કરતાં અંગે જોરદાર અટકળો શરુ થઈ હતી. પાટકરે ગઈકાલે વલસાડમાં એવો દાવો કર્યો હતો કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થઈ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના અંત પહેલા યોજાઈ જશે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં વર્ષે ૨૭ માર્ચથી આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે, અને તેનું પરિણામ ૨જી મેના રોજ આવવાનું છે.

તાજેતરમાં રાજ્યની મહાનગરપાલિકાઓની સાથે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે જોરાદર દેખાવ કરતાં મોટી જીત હાંસલ કરી છે. ઉપરાંત, ૨૦૨૦માં થયેલી વિધાનસભાની બેઠકો પરની પેટાચૂંટણીમાં પણ ભાજપે મોટી જીત હાંસલ કરી હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં રાજ્યમાંથી કોંગ્રેસના જાણે કે સૂપડાં સાફ થઈ ગયા છે, અને આમ આદમી તેમજ એઆઈએમઆઈએમ જેવી નાની પાર્ટીઓનો ઉદય થતો જોવા મળી રહ્યો છે. તેમાંય આમ આદમી પાર્ટીએ તો સુરતમાં કોંગ્રેસને પણ પાછળ રાખી સૌને ચોંકાવી દીધા છે.

રાજ્યમાં ૨૦૧૭માં જે વિધાનસભા ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનો દેખાવ પ્રમાણમાં ખૂબ નબળો રહ્યો હતો અને પક્ષને ૧૦૦થી પણ ઓછી બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ થયેલી પેટાચૂંટણીઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાની રણનીતિથી ભાજપનું સંખ્યાબળ હાલ વિધાનસભામાં વધીને મજબૂત સ્થિતિમાં આવી ચૂક્યું છે. જેના કારણે હાલમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને પોતાની અગાઉની બેઠકો ગુમાવવી પડી છે.

(8:17 pm IST)