Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામની શાળામાં યિદ્યાર્થીઓની વિકટ સ્‍થિતિઃ અનેક જગ્‍યાએ ખુલ્લામાં બેસીને અભ્‍યાસ કરવા મજબુર

ઉનાળામાં તડકો, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં પાણીના કારણે બાળકો પરેશાન

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ શાળાઓમાં અભ્‍યાસ કરતા છાત્રો ખૂબ જ મુશ્‍કેલી અનુભવી રહ્યા છે.

રાજ્યમાં દરેકને શિક્ષા આપવા માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસ કરે છે.. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એ માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે.. પરંતુ કેટલાક ગામોમાં શાળાની વાસ્તવિકતા જાણીને આપણને પણ આશ્ચર્ય થાય છે.. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ કંઈક આવી જ શાળા છે.. જ્યાં બાળકો ક્યારેક મંદિરમાં તો ક્યારેક ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કણાસા નજીક આવેલા નવા ગામ આવ્લું છે. અહીંની ગોધાફળિયા શાળામાં ઓરડાઓના અભાવના કારણે બાળકો ક્યારેક મંદિર પરિસરમાં અભ્યાસ કરે છે તો ક્યારેક ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. નવાગામ ગોધાફળિયા પ્રાથમિક શાળા નંબર 2માં ધોરણ 1થી 8માં કુલ 120 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને બેસવા માટે હાલ શાળા પાસે માત્ર ત્રણ ઓરડા છે જેમાં એકમાં સામાન ભર્યો છે જ્યારે અન્ય બે ઓરડામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેના પગલે ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા બાળકો માટે ગામથી 1 કિલોમીટર દૂર આવેલી સ્વામિનારાયણ મંદિરમાં વ્યવસ્થા કરવામા આવી છે.

સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ધોરણ 6થી 8 ના કુલ 60 જેટલા બાળકો ભણવા આવે છે, મંદિર પરિસરમાં પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ક્યારેક ખુલ્લામાં તો ક્યારેક અંદર બેસીને ભણી રહ્યા છે. છત નહીં હોવાના કારણે ઉનાળામાં તડકો અને શિયાળામાં ઠંડી અને ચોમાસામાં પાણીના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે.

 શાળામાં ભણતા આ બાળકોના ભણતર ને લઇ વાલીઓ પણ ચિંતિત છે. કેમકે છેલ્લા બે વર્ષ પહેલા નોન-યુઝ કરી તોડી પાડવામાં આવેલા શાળાના ઓરડાઓ માટે તંત્ર દ્વારા વાતો સિવાય હજી સુધી એક ઈંટ પણ મુકવામાં આવી નથી. તેવામાં છેલ્લા બે વર્ષથી બાળકોના ભણતરની જગ્યા ઉપર ઓરડાઓ ક્યારે બાંધવામાં આવશે તેવી ચિંતા વાલીઓઅમાં સતાવી રહી છે.

બાળકો છેલ્લા બે વર્ષથી તંત્રના પાપે આજદિન સુધી શાળાના ઓરડા વગર ખુલ્લામાં બેસી પોતાના જીવનનું ઘડતર કરી રહ્યાં છે. ગામથી એક કિલોમીટરના અંતરે આવેલું મંદિર સુધી બાળકોને ચાલીને જવું પડે છે, ત્યારે ભણતર મેળવવા અનેક મુશ્કેલીઓ વચ્ચે ભણતા આ બાળકો તંત્રના આદર્શ શાળા, સૌ ભણે સૌ આગળ વધે જેવા જુદા જુદા સ્લોગનો સામે અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય કે શું આમ ભણશે ગુજરાત.

(5:00 pm IST)