Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ખેતર માલિકે વિધવા મહિલાની સગીર દિકરી પર દુષ્કર્મ ગુજાર્યું

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનો બનાવ : આરખી ગામે રહેતા સુરેશ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે વિધવા મહિલા ચોથા ભાગે ખેતમજુરી કરી રહી હતી

બનાસકાંઠા,તા.૭ : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ખુદ ખેતર માલિકે જ પોતાના ત્યાં ભાગીયા તરીકે કામ કરતી વિધવા મહિલાની સગીર દિકરીને દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ઘટના સામે આવતાં જ હડકંપ મચ્યો છે. ખેતરમાં એકલતાનો લાભ લઇ ખેતર માલિક નરાધમ બન્યો હતો. ગરીબ કન્યા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતાં પાંથાવાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે ભાગીયા તરીકે ખેતમજૂરી કરતી વિધવા માતાની સગીર પુત્રી દુષ્કર્મનો ભોગ બની છે. આરખી ગામે રહેતા સુરેશ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે એક વિધવા મહિલા ચોથા ભાગે ખેતમજુરી કરી રહી હતી. જોકે વિધવા મહિલા પોતાના પરિવાર સાથે ખેતરમાં જ છાપરું બાંધીને રહેતી હતી.

વિધવા માતા મોત પ્રસંગે બેસણામાં ગયા હતા, તે સમયે સગીર દીકરી એકલી ઘરે હતી. સગીરા પોતાના ખેતરમાં નીંદણ વાવવા ગઈ તે સમયે એકલતાનો લાભ લઈ સુરેશ પટેલ ખેતરમાં આવી ગયો અને સગીરા સાથે ખેતરમાં જ દુષ્કર્મ આચર્યુ હતું. જોકે તે બાદ સગીરાની હાલત લથડતાં તે જ સમયે બેસણામાંથી પરત ફરેલી તેની માતાને પોતાની હાલત લથડી હોવાનું જણાવ્યુ હતું. માતાએ પૂછપરછ કરી તો સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

વિધવા માતા સગીરાને સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. ત્યારે માતે પાંથાવાડા પોલીસ મથકે પહોંચી હતી, અને દુષ્કર્મ ગુજારનાર ખેતર માલિક સુરેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સુરેશ પટેલ સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે સમગ્ર ઘટનાને લઈ ખેતર માલિક સામે સ્થાનિક લોકોએ ફિટકાર વરસાવ્યો છે. દીકરીના માતા દ્વારા આપેલ ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ, એટ્રેસિટી સહિતની કલમો લગાવી આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

(9:02 pm IST)