Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ગુજરાત બાર કાઉન્સીલની હાઇટેક યોજના : બધી કાર્યવાહી ઓનલાઇન થશે

વેલફેર ફંડની રજૂઆત : ફી ઓનલાઇન ભરી શકાશે બહારગામના વડીલોને રાહત : અમદાવાદ સુધી જવુ નહી પડે

અમદાવાદ તા.૮ : ગુજરાત બાર કાઉન્સીલ પણ હવે ડિજીટલ અને હાઇટેક બની ગઇ છે. જેના ભાગરૂપે આગામી તા.૧-૧-૨૦૧૯થી ગુજરાત બાર કાઉન્સીલનું લગભગ તમામ કામકાજ ઓનલાઇન થઇ જશે. બાર કાઉન્સીલનું કામકાજ ઓનલાઇન થવાથી અમદાવાદ શહેર સહિત રાજયભરના વકીલ આલમ માટે બહુ મોટી રાહતની વાત છે. કારણ કે બહારગામના કે અંતરિયાળ વિસ્તારના વકીલ મિત્રોને હવે અમદાવાદ સુધી ગુજરાત બાર કાઉન્સીલની કચેરી સુધી લાંબા નહી થવુ પડે કે ધકકા નહી ખાવા પડે. વકીલો માટે સૌથી મોટી રાહતની વાત તો એ છે કે, વકીલોના મૃત્યુના કિસ્સામાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ સહાય ચુકવવામાં આવે છે તે માટેની જરૂરી રિન્યુઅલ ફી પણ વકીલો હવે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઓઆરજી પર ઓનલાઇન ભરી શકશે.

બાર કાઉન્સીલ રીન્યુઅલ ફી ઓનલાઇન સ્વીકારશે એમ અત્રે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝી. કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત રાજયમાં વકીલોના મૃત્યુના કિસ્સામાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તેમના પરિવારજનો કે વારસદારોને મૃત્યુ સહાયની રકમ ચુકવાતી હોય છે અને આ માટે વેલફેર ફંડ સ્કીમ હેઠળ હાલ મૃત્યુ સહાય પેટે વકીલોના પરિવારજનો કે વારસદારોને રૂ. ૩ લાખની સહાય ચુકવાઇ રહી છે. જે તા. ૧-૪-૨૦૧૯ થી મૃત્યુ સહાયની રકમ રૂ. ૪ લાખની થવા જઇ રહી છે. ત્યારે આ વેલફેર ફંડ સ્કીમ હેઠળ વકીલોના સમયાંતરે પોતાનુ સભ્યપદ રિન્યુ પણ કરાવવાનુ હોય છે. જેની રિન્યુઅલ ફી અત્યારસુધી રૂ.૨૫૦૦ હતી પરંતુ સમગ્ર વકીલ આલમમાં ખાસ કરીને જૂનીયર વકીલો સહિતના ધારાશાસ્ત્રીઓની માંગણીને ધ્યાનમાં લઇને ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એક મહત્વના નિર્ણયમાં વેલફેર ફંડ સ્કીમની રિન્યુઅલ ફીમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ મુજબ વકીલાતના પાંચ વર્ષ પુરા નહી કર્યા હોય તેવા જૂનીયર વકીલોએ માત્ર રૂ. એક હજાર જેટલી જ રિન્યુઅલ ફી ચુકવવી પડશે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝી.કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ વધુમાં ઉમેર્યુ કે રિન્યુઅલ ફીના ઘટાડા અંગે તાજેતરમાં લેવાયેલા નિર્ણય મુજબ જૂનીયર વકીલો માટે રૂ.૧૦૦૦ કરાયા છે.

આ ઉપરાંત વકીલાતના એકથી પંદર વર્ષ પુર્ણ કર્યા હોય તેવા વકીલોએ વાર્ષિક રૂ.૧૫૦૦ રિન્યુઅલ ફી, પંદર થી વીસ વર્ષથી પ્રેકટીસ કરતા વકીલો માટે રૂ. ૨૦૦૦ અને ૨૦ વર્ષથી ઉપરની પ્રેકટીસ વાળા વકીલો માટે રૂ. ૨૫૦૦ની રિન્યુઅલ ફી નકકી કરાઇ હતી. સાથે સાથે ગુજરાત એડવોકેટ વેલફેર ફંડની સ્કીમમાં વેલફેર સ્ટેમ્પ જે તાલુકા જિલ્લાની અદાલતોમાં રૂ. ૨૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવાની હતી. તેના બદલે રૂ.૧૦ની વેલફેર સ્ટેમ્પ લગાવવા હાઇકોર્ટે અને ટ્રિબ્યુનલમાં રૂ. ૪૦ની જગ્યાએ રૂ. ૨૦ની વેલફેર સ્ટેમ્પ લગાડવાનો નિર્ણય લેવાયો હતો.રિન્યુઅલ ફી મુદ્દે જૂનીયર વકીલો સહિત રાજયભરના વકીલઆલમમાંથી રજૂઆતો મળી હતી.જેને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન હવે ગુજરાત બાર કાઉન્સીલનું કામકાજ પણ ઓનલાઇન શરૂ થવાની જાહેરાતથી રાજયભરના વકીલઆલમમાં ખુશી અને રાહતની લાગણી છવાઇ થઇ છે.

(3:57 pm IST)