Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સાયબર હુમલાઓનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે

સાયબર સિક્યોરિટી મામલે સેમિનાર યોજાયોઃ ૧૯મી જાન્યુઆરી સુધીમાં મજબૂત સાયબર સિકયોરિટી માળખુ અમલી કરવા માટેનો આરબીઆઇ દ્વારા આદેશ

અમદાવાદ, તા.૭: અમદાવાદ, ગુજરાત સહિત દેશની કો-ઓપરેટીવ બેંકો સહિતની બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર હુમલાનું જોખમ ચિંતાજનક હદે વધ્યું છે. દિન પ્રતિદિન બેંકો અને નાણાંકીય સંસ્થાનોમાં સાયબર એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. માત્ર કો-ઓપરેટીવ બેંકના સાયબર એટેકની વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં દેશમાં કો-ઓપરેટીવ બેંકોમાં ૫૪ થી પપ જેટલા સાયબર એટેકના કેસો સામે આવ્યા છે. બિનસત્તાવાર રીતે આ આંક ઘણો મોટો હોઇ શકે. પરંતુ બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં આજે સાયબર એટેક, હેકીંગ સહિતના જોખમી પરિબળો ચિંતાજનક બન્યા છે ત્યારે હવે કો-ઓપરેટીવ બેંકો સહિતની વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાનોને આઇટી, ફુલપ્રુફ સીકયોરિટી સીસ્ટમથી સુસજ્જ કરવી પડશે, અન્યથા તેના માઠા પરિણામ ભોગવવા પડી શકે છે એ મતલબનો સૂર આજે અમદાવાદમાં કો.ઓ.બેંકોમાં સાયબર સિકયોરિટી મામલે યોજાયેલા મહત્વના સેમીનારમાં નિષ્ણાત તજજ્ઞોએ વ્યકત કર્યો હતો. બેંકો માટે ખૂબ જ મહત્વના આ સેમીનારમાં ૧૦૦થી વધુ બેંકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિષય નિષ્ણાત વી સિકયોર બેન્કસના પાર્ટનર સ્મિત શાહ અને સની વાઘેલા તેમ જ એક્યુટ ઇન્ફર્મેટિક્સ  પ્રા.લિના ચિરાગભાઇ પટેલે જણાવ્યું હતું કે, કો.ઓ.બેંકો સહિતની સંબંધિત બેંકોમાં તા.૧૯મી જાન્યુઆરી સુધીમાં સાયબર સિકયોરિટી માળખુ લાગુ કરવા આરબીઆઇએ તાકીદ કરી છે  ત્યારે હવે બેંકોએ પણ કોઇપણ પ્રકારની ઉદાસીનતા કે નિષ્કાળજી દાખવવી જોઇએ નહી અને આ મામલાને ગંભીરતાથી લઇ તેની અમલવારી કરવી જોઇએ. કોઈપણ સંસ્થા ખાસ કરીને બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની આઈટી કામગીરીમાં સાઈબર હુમલા મોટું જોખમ બની રહ્યા છે. ખાસ કરીને અર્બન કો-ઓપરેટીવ બેન્કો પર સાયબર હુમલાનું જોખમ વધ્યું છે. સાયબર હુમલાનું એક કારણ એ પણ છે કે આ સેક્ટરમાં બેન્કોમાં ટેક્નોલોજી અપનાવવાનું સ્તર અલગ અલગ છે. મોટી બેન્કો તેના ગ્રાહકોને અત્યાધુનિક કોર બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ), આરટીજીએસ/એનઈએફટી, મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગનો સમાવેશ થાય છે. અર્બન કો-ઓપ. બેન્કો (યુસીબી)એ તેમની ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાના ભાગરૂપે સ્પર્ધાત્મક બનવા માટે ટેક્નોલોજી અપનાવવી પડી રહી છે, પરીણામે તેઓ સાયબર જોખમો/હુમલા માટે વધુ જોખમી બને છે. આરબીઆઈ મુજબ યુસીબીએ સાતત્યપૂર્ણ ધોરણે તેમની અસ્કયામતોની સલામતીની પર્યાપ્ત ખાતરી માટે મજબૂત સાયબર સિક્યોરિટી/સ્થિતિસ્થાપક માળખું બનાવવું જરૂરી છે. તેથી સાયબર જોખમોને ધ્યાનમાં રાખતાં વર્તમાન સંરક્ષણમાં સુધારા દ્વારા સાયબર હુમલાઓથી  યુસીબીની સલામતીવધારવી આવશ્યક બની ગઈ છે.

વી સિકયોર બેન્કસના પાર્ટનર સ્મિત શાહ અને સની વાઘેલા તેમ જ એક્યુટ ઇન્ફર્મેટિક્સ  પ્રા.લિના ચિરાગભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે, આરબીઆઈના નિર્દેશો મુજબ બધી જ યુસીબીએ તાકિદે તેમના બોર્ડ/વહીવટદારો દ્વારા સ્વીકૃત સાયબર સિક્યોરિટી નીતિ અપનાવવી જોઈએ અને કારોબારની જટીલતા અને જોખમોના સ્વીકૃત સ્તરોના આધારે સાયબર હુમલાઓ ટાળવા યોગ્ય અભિગમ અપનાવવો જોઈએ. ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, મોબાઈલ વોલેટ, આરટીજીએસ/ એનઈએફટી/ આઈએમપીએસ, સ્વિફ્ટ, ડેબીટ કાર્ડ્સ જેવી કોર બેન્કિંગ સોલ્યુશન્સ જેવી સેવાઓ ઓફર કરતી યુસીબી માટે ડિનાયલ ઓફ સર્વિસ (ડીઓએસ), રેન્સમવેર/ક્રીપ્ટો વેર, વિનાશક માલવેર, સ્પામ, ઈમેલ ફિશિંગ, સ્પીઅર ફિશિંગ, વેલિંગ, વિશિંગ છેતરપિંડી સહિત બિઝનેસ ઈમેલ છેતરપિંડી, ડ્રાઈવ-બાય ડાઉનલોડ્સ, બ્રાઉઝર ગેટવે છેતરપિંડી, ઘોસ્ટ એડમિનિસ્ટ્રેટીવ એક્સપ્લોઈટ્સ, ઓળખની છેતરપિંડી, મેમરી અપડેટની છેતરપિંડી, પાસવર્ડ સંબંધિત છેતરપિંડી જેવા વિવિધ પ્રકારના સાયબર જોખમોનો સામનો કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા જરૂરી છે. આજના સેમીનારમાં નિષ્ણાતોએ આરબીઆઈની સાયબર સિક્યોરિટી માર્ગદર્શિકાઓના અમલ માટે પગલાં લેવા, સાયબર સિક્યોરિટીના મહત્વ, એથિકલ હેકિંગ, ફિશિંગ ડેમોસ્ટ્રેશન, વેબ એપ્લિકેશન હેકિંગ, હેકર્સની મોડસ ઓપરેન્ડી, મોબાઈલ હેકિંગ, સાયબર રિસ્ક ઈન્સ્યોરન્સ જેવા વિવિધ મુદ્દાઓ પર ખૂબ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા.

(9:46 pm IST)