Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

''લોક ગઠબંધન પાર્ટી'' તમામ ૨૬ બેઠકો ઉપરથી ઝુકાવશે

અમદાવાદઃ લોક ગઠબંધન પાર્ટી દ્વારા એન્ટી કરપ્શન, યુવાનો માટે વિકાસ પ્રવૃતિઓ અને મધ્યમવર્ગીય લોકો સુધી લાભો પહોંચાડવા જેવા વચનો સાથે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સ્વચ્છ સરકાર અભિયાન' અંતર્ગત જારી કરવામાં આવ્યો છે. આ પાર્ટીએ આગામી ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. આ સાથે પાર્ટી યુપી અને હિમાચલમાંથી પણ ચૂંટણી લડશે. અગાઉ પાર્ટીએ ગુજરાતની ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો પરથી ચૂંટણી લડી હતી અને પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.

 રાજકારણના ઊંડા વમળમાં ઉતરવાના હેતુથી અને હાલના રાજકીય પક્ષોની 'પૈસા અને બાહુબળની તાકાત'ને પડકારવા માટે સેવાનિવૃત આઈએએસ અધિકારી વિજય શંકર પાંડે અને અનેક સેવાનિવૃત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને ટેકનોક્રેટ્સ દ્વારા તેમના રાજકીય પક્ષ લોકગઠબંધનની ગુજરાતમાં ઘોષણા કરવામાં આવી હતી. સારી એવી સંખ્યામાં લોકો કે જેઓ દેશભરમાં ચાલતા અભિયાન આઈઆરઆઈ (ઈન્ડિયા રિજુવેનેશન ઈનિશિયેટીવ) માં સામેલ છે અને તેમાં પૂર્વ ચીફ જસ્ટિસો, પૂર્વ સ્ટેટ પોલીસ ચીફ્સ, નિવૃત અને સેવામાં રહેલા અમલદારો અને સોશિયલ એકિટવિસ્ટ્સ સભ્યો તરીકે સામેલ છે, તેઓ નવરચિત લોક ગઠબંધન પાર્ટી (એલજીપી)માં જોડાયા છે.

આ વર્ષની ચૂંટણી વિશે વાત કરતા પાંડેએ કહ્યું હતું કે તેઓ અને અન્ય અધિકારીઓ તથા ટેકનોક્રેટ્સ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લોક ગઠબંધન પાર્ટીમાં થી લડશે. આ પાર્ટીની રચના ઓકટોબર ૨૦૧૬માં થઈ હતી. તેઓ ફૈઝાબાદ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભા રહેશે, જયાં તેઓ અગાઉ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવા આપી ચૂકયા છે.

રિટાયર્ડ આઈએએસ અધિકારી વિજય શંકર પાંડે ભ્રષ્ટાચાર વિરુદ્ઘ લડનારા આક્રમક યોદ્ઘા સાબિત એ સમયે થયા જયારે તેમણે યુપી કેડરના ત્રણ સૌથી ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા માટે ચૂંટણી યોજી હતી. તેઓ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઊભા રહેવાના છે.

(3:41 pm IST)