Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

દાઉદી વ્હોરાના સૈયદનાના ઉત્તરાધિકાર કેસની સુનાવણી

ઉત્તરાધિકારી કોણ તે મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણીઃ અનુગામી તરીકે સૈયદના ખુઝૈમા કુતુબુદ્દીનને નીમ્યા હતા, સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનો હવે અનુગામી તરીકેનો દાવો

અમદાવાદ, તા.૭, દાઉદી વ્હોરાના સૈયદનાના ઉત્તરાધિકારી કોણ તે મુદ્દે મહત્વપૂર્ણ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી આવતીકાલે તા.૮મીથી મુંબઇ હાઇકોર્ટમાં ધરાનાર છે. આ કેસ એટલા માટે મહત્વપૂર્ણ અને નોંધનીય છે કેમ કે, સમગ્ર દેશ અને દુનિયાના દાઉદી વ્હોરા સમાજના લોકોની નજર તેની સુનાવણી અને ચુકાદા પર છે કારણ કે, તેમની કોમનું નેતૃત્વ કોના હાથમાં જાય છે તે મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે.  સ્વર્ગીય ૫૨ મા દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને તેમના અનુગામી તરીકે સૈયદના ખુઝૈમા કુતુબુદ્દીનને નીમ્યા હતા. જો કે, બુરહાનુદ્દીનના બીજા પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને દાઇના અનુગામી તરીકે તેમની નિયુકિત કરી હોવાનો દાવો કર્યો હતો. આ વિવાદ વચ્ચે સ્વર્ગીય દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના અનુગામી  સૈયદના ખુઝૈમા કુતુબુદ્દીનનું પણ નિધન થતાં તેમના પુત્ર સૈયદના તાહેર ફખરૂદ્દીનની તેમના પિતાના સ્થાને ફરિયાદી તરીકે તેમને દાખલ કરી કેસ આગળ ચલાવવામાં આવે તેવી કરેલી અરજી મુંબઇ હાઇકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલે ગ્રાહ્ય રાખી હતી. જેને પગલે હવે આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી તા.૮મી, ૧૧મી અને ૧૨મી ડિસેમ્બરના રોજ મુંબઇ હાઇકોર્ટમાં હાથ ધરાનાર છે. સમગ્ર દેશ અને વિશ્વના દાઉદી વ્હોરા સમાજના લોકોની નજર છે એવા મહત્વપૂર્ણ કેસની વિગતો એવી છે કે, ઇમામનું પ્રતિનિધિત્વ અને દાઉદી વ્હોરા કોમનું નેતૃત્વ કરતા ૫૨ મા દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને તા.૧૦-૧૨-૧૯૬૫ના રોજ તેમના નાના ભાઇ સૈયદના ખુઝૈમા કુતબુદ્દીનને પોતાના મનસુસ(અનુગામી) તરીકે નીમ્યા હતા પરંતુ તેમના અભિષેકની વાત ખાનગી રાખવા તેમને કહ્યું હતું. તા.૧૭-૧-૨૦૧૪માં દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અવસાન પામ્યા હતા. તે પહેલા જૂન ૨૦૧૧માં તેમને સ્ટ્રોકનો ગંભીર હુમલો આવતાં લડંનની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં તેમની સ્ટ્રોકના કારણે બોલી શકાય તેવી પણ હાલત ન હતી તેવા સમયે સૈયદના બુરહાનુદ્દીનના બીજા પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને દાવો કરી દીધો હતો કે, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને તેને પોતાના અનુગામી નીમી દીધા છે. એ વખતે સૈયદના ખુઝૈમા કુતબુદ્દીને એ દાવાને એટલે પડકાર્યો નહી કેમ કે, સૈયદના બુરહાનુદ્દીને તેમની અનુગામી તરીકે અગાઉ કરેલી નિયુકિતને ખાનગી રાખવા કહ્યું હતું અને  બીજું કે, કુતબુદ્દીનને આશા હતી કે, સૈયદના બુરહાનુદ્દીન સાજા થઇને દાઇ તરીકે તેમની નિમણૂંકની જાહેરાત કરશે પરંતુ દાઇ સૈયદના બુરહાનુદ્દીનના નિધન બાદ મુફદ્લ સૈફુદ્દીને દાઉદી વ્હોરા કોમનો વહીવટી તંત્રનો કબ્જો લઇ લીધો હતો. જેથી એપ્રિલ-૨૦૧૪માં સૈયદના ખુઝૈમા કુતબુદ્દીને પોતાને દાઇ તરીકે જાહેર કરવા દાદ માંગતી મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. એ દરમ્યાન ૨૦૧૬માં સૈયદના કુતબુદ્દીનનું પણ નિધન થતાં તેમના અનુગામી તરીકે પુત્ર સૈયદના તાહેર ફખરૂદ્દીન આ કેસમાં ફરિયાદી તરીકે દાખલ થયા હતા અને કેસ આગળ ધપાવવા અરજી કરાઇ હતી, જે મુંબઇ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. હવે આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી તા.૮, ૧૧ અને ૧૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

એ દરમ્યાન સૌપ્રથમવાર સૈયદના તાહેર ફખરૂદ્દીન સૌપ્રથમવાર મુંબઇ હાઇકોર્ટ સમક્ષ હાજર રહેશે અને તેમની ઉલટપતપાસ હાથ ધરાશે.

 

 

(10:00 pm IST)