Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છતાં લોકોએ ફટાકડાઓ ફોડાયા

દિવાળી પર્વની ઉજવણી પરંપરાગતરીતે થઇ : પોલીસ દ્વારા પશ્ચિમની સરખામણીએ પૂર્વમાં ફટાકડાના ચુકાદા અને જાહેરનામાના ભંગ બદલ વધુ ફરિયાદો નોંધી

અમદાવાદ, તા.૭ : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને લઇ દિવાળીના તહેવાર દરમ્યાન રાતે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડવા માટે આદેશ કર્યા છે છતાં બાળકો, યુવાઓ સહિતના લોકોએ આજે દિવાળીના તહેવારને લઇ બિન્દાસ્ત રીતે મનમૂકીને ફટાકડા ફોડયા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા પોલીસ અને તંત્રએ કમર કસી છે પરંતુ લોકો પર લગામ લગાવવાનું એટલુ સરળ નથી. પોલીસે ગેરકાયદે ફટાકડા ફોડતાં લોકો વિરૂધ્ધ ફરિયાદ સહિતન કાર્યવાહી હાથ ધરી છે પરંતુ તેમાંપણ પોલીસ દ્વારા શહેરમાં પશ્ચિમની સરખામણીએ પૂર્વ વિસ્તારમાં ફટકડાના ચુકાદા અને પોલીસના જાહેરનામાના ભંગ બદલ વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇ પશ્ચિમના વિસ્તારમાં વગદાર લોકો હોવાથી પોલીસ પશ્ચિમમાં ફરિયાદ ઓછી નોંધી રહી છે તેવી ચર્ચા પણ ઉઠવા પામી હતી. બીજીબાજુ, રાજય સરકારે પણ સુપ્રીમકોર્ટના હુકમ મુજબ, ફટાકડા ફોડવાનો સમય જાહેર કર્યો હોવાથી પોલીસ અને તંત્ર અમલવારી માટે પગલાં લઇ રહી છે પરંતુ તેમછતાં લોકોએ બિન્દાસ્ત ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરી હતી. સુપ્રીમકોર્ટના હુકમ છતાં વહેલી પરોઢથી જ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફટાકડા ફુટવાની શરૂઆત થઇ ગઇ હતી. ખાસ કરીને વહેલી સવાર અને મોડી સાંજે અને મોડી સાંજ બાદ રાતભર ફટાકડા ફુટતા રહ્યા હતા. ખાસ કરીને સોસાયટીઓ, ફલેટો અને એપાર્ટમેન્ટના પ્રાંગણોમાં તેમ જ તે વિસ્તારમાં ફટાકડા વધુ ફોડાયા હતા. અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતે પોલીસ અને તંત્રની સુપ્રીમકોર્ટના ચુકાદાના પાલન માટે બાજ નજર હોવાના કારણે જાહેર માર્ગો અને સ્થળોએ ફટાકડા ફોડવાના કિસ્સા ઓછા નોંધાયા હતા. અત્યારસુધીમાં પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ફટાકડા ફોડવા મામલે જે ફરિયાદ કે કાર્યવાહી કરાઇ તેમાં સૌથી વધુ ફરિયાદ અમરાઇવાડી, ઓઢવ બાદ હવે રામોલ સહિતના પૂર્વના વિસ્તારોમાં કરવામાં આવી છે. પૂર્વમાં પોલીસે ૫૦થી વધુ કિસ્સામાં આવી કાર્યવાહી કરી છે, જેની સામે પશ્ચિમમાં વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના છૂટાછવાયા કિસ્સામાં પોલીસે સમયમર્યાદા બહાર ફટાકડા ફોડનાર લોકો સામે ફરિયાદ સહિતની કાર્યવાહી કરી છે. આમ, પૂર્વની સરખામણીએ પશ્ચિમ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી ઓછી રહી હોવાનું સ્પષ્ટ સામે આવ્યું હતું, જેને લઇ પૂર્વના નાગરિકોએ આ મામલે પોલીસના પક્ષપાતી વલણ અંગે નારાજગી વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે, જેના પગલે સુપ્રીમ કોર્ટે રાતે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડવાના આદેશ કર્યા છે. સુપ્રીમના આદેશ છતાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. મોડી રાત સુધી ફટાકડા ફોડવાને લઇ પોલીસે કેટલાક લોકોને ઝડપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે શહેર પોલીસે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે પરંતુ તે બહુ અસરકારક કે કારગત નીવડયું નથી. તો, પોલીસ કમિશનરે પણ હોસ્પિટલ, નર્સિંગહોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરના વિસ્તારને સાઇલન્ટ ઝોન જાહેર કર્યો છે, જેથી ત્યાં કોઇ પ્રકારના ફટાકડા ન ફોડવા જણાવાયું છે. જો કોઇ વ્યક્તિ રાતે ૧૦ પછી ફટાકડા ફોડશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેવી સૂચના પર પોલીસ દ્વારા અપાઇ રહી છે પરંતુ આ જાહેરનામા કે સુપ્રીમકોર્ટનો આદેશ લોકોને દિવાળીના ફટાકડા ફોટતા અટકાવી શકયા ન હતા.

(5:20 pm IST)