Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાલથી ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો મહામેળોઃ ૨પથી ૩૦ લાખ ભાવિકો ઉમટશેઃ ૧૪મી સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અમદાવાદ :ભાદરવી પૂનમ હોઈ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર થયો છે. આવતીકાલથી એટલે કે 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી નવો આરતી અને દર્શનનો નવો સમય યથાવત રહેશે. યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે 8 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે અને આ વર્ષે મેળામાં 25 થી 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચશે.

આવતી કાલથી ભાદરવી પૂનમ સુધી આ ફેરફાર અમલમાં રહેશે. મંદિરમાં આવતીકાલથી આરતીનો સમય 6.15થી 6.45 કરાયો છે. તો સાંજની આરતીનો સમય 7.00થી 19.30 કરાયો છે. માતાજીના દર્શનના સમયની વાત કરીએ તો નીચે બતાયેલા સમય સુધી માતાજીના દર્શન માટે દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.

દર્શનનો બદલાયેલો સમય

    સવારે 6.45થી લઈને 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

    બપોરે 12.30 વાગ્યાથી સાથે 7.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

    સાંજે 7.30થી લઈને 1.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમે જગત જનની માં અંબાનો પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીઓ પગપાળા મા અંબાના શરણે અને ચરણે શિષ નમાવવા જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓ હાલ રાજ્યના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે જિલ્લાના માર્ગો હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. પદયાત્રીઓ મા અંબાના જુદા જુદા રથો સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યાં છે. રસ્તાઓ પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યાં છે. બીજી તરફ આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર વિસામા પણ શરૂ કરાયા છે, જ્યાં પદયાત્રીઓની સેવા કરાઈ રહી છે.

(5:26 pm IST)