Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગુજરાતમાં ૩૦-૩૫ લાખ લોકો દમ-અસ્થમાથી ગ્રસ્ત

દમ-અસ્થમાનું પ્રમાણ બાળકોમાં બમણું થયુંઃ દમ-અસ્થમાની બિમારી પરત્વે લોકોમાં જાગૃતિ ફેલાવવા ૧૫મીથી અભિયાનઃ પ્રિયંકા ચોપરા જનજાગૃતિમાં જોડાશે

અમદાવાદ, તા.૭: અમદાવાદ શહેર સહિત ગુજરાત અને દેશભરમાં દિન પ્રતિદિન દમ-અસ્થમાની બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં પણ ચિંતાજનક અને ગંભીર વાત એ છે કે, લોકો દમ-અસ્થમાની બિમારી વિશે એટલા જાગૃત નથી, દમ-અસ્થમા વધી જાય ત્યાં સુધી દવા લેવાનું ટાળે છે અથવા તો, તેની ઉપેક્ષા સેવે છે. જેના પરિણામે આજે વિશ્વભરમાં દમ-અસ્થમાના આશરે ૩૫ કરોડથી વધુ દર્દીઓ છે, જેમાં ભારતમાં ૩.૭ કરોડથી વધુ દર્દીઓ દમ-અસ્થમાના છે. જેમાં ગુજરાતમાં ૩૦થી ૩૫ લાખ દર્દીઓનો સમાવેશ થાય છે. તેનાથી પણ ગંભીર અને ચિંતાજનક વાત એ છે કે, મોટેરાઓમાં દમ-અસ્થમાના પ્રમાણની સરખામણીએ બાળકોમાં તે બમણું વધ્યું છે, અને તેમાં પણ પાંચથી ૧૧ વર્ષના બાળકોમાં દમ-અસ્થમાનું પ્રમાણ ૧૦થી ૧૫ ટકા સુધીનું જોવા મળ્યું છે. આ સંજોગોમાં અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાં દમ-અસ્થમા સંબંધમાં ખોટી માન્યતાઓ અને ડરને દૂર કરવાના લક્ષ્ય સાથે અને આમજનતામાં દમ-અસ્થમાની સારવારને લઇ અસરકારક જાગૃતિ ફેલાવવા તા.૧૫મી સપ્ટેમ્બરથી અનોખુ - હેશબેરોકઝિંદગી અભિયાન છેડવામાં આવશે એમ અત્રે સિવિલ હોસ્પિટલના સીઓડી ડો.રાજેશ સોલંકી અને જાણીતા ચેસ્ટ ફિઝિશીયન ડો.નરેન્દ્ર રાવલે અત્રે જણાવ્યું હતું. અમદાવાદમાં આજે હેશબેરોકઝિંદગી મલ્ટી- મિડિયા જાગૃતિ કેમ્પેઈન લોન્ચ કરતાં સિવિલ હોસ્પિટલના સીઓડી ડો.રાજેશ સોલંકી અને જાણીતા ચેસ્ટ ફિઝિશીયન ડો.નરેન્દ્ર રાવલે વધુમાં જણાવ્યું હતું કે, દમ-અસ્થમાના આ અનોખા રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ જનજાગૃતિ ફેલાવવા માટે જોડાશે. ખુદ પ્રિયંકા ચોપરા પાંચ વર્ષની નાની બાળકી હતી, છતાં તે દમ-અસ્થમાથી પીડાતી હતી અને તેમછતાં તેણીએ બોલીવુડમાં સફળતાના શિખરો સર કરી સમાજને એક અનોખી પ્રેરણા પૂરી પાડી છે. તે હકીકત લોકોને સમજાવવા જ તેણી પણ હેશબેરોકઝિંદગી અભિયાનમાં જનજાગૃતિ ફેલાવશે.   આ બીમારીને નાથવા માટે સૌથી સ્માર્ટ પસંદગી ઈનહેલેશન થેરાપી છે, તેથી આ કેમ્પેઈનનું લક્ષ્ય ઈનહેલેશન થેરાપી પ્રત્યેની ખોટી માન્યતા દૂર કરવાનું અને તેને સામાજિક રીતે વધુ સ્વીકાર્ય બનાવવાનું પણ છે. ઈનહેલર્સ ઉપચારનું સૌથી ઉત્તમ સ્વરૂપ છે, કારણ કે તે દવા સીધી જ ફેફસામાં પહોંચાડે છે, જેને લીધે મોઢા વાટે લેવાતી દવાની તુલનામાં તેમાં ૨૦ ગણી ઓછી દવાની માત્રાની આવશ્યકતા પડે છે. ઇન્હેલર થેરાપીનો સૌથી મોટો ફાયદો એ છે કે, દવા સીધી ફેફસામાં જાય છે અને તેની સાઇડ ઇફેકટ થતી નથી. બીજા વિકલ્પોમાં શરીરમાં દવાનું પ્રમાણ વધુ જાય છે, જયારે ઇન્હેલર (પંપ) મારફતે જરૂર પૂરતી જ દવા ફેફસામાં જાય છે. એક અંદાજ મુજબ, અમદાવાદમાં દમ-અસ્થમાના રોગથી પીડાતા હોય તેવા આશરે ૪૦ દર્દીઓ સ્થાનિક ડોક્ટરો પાસે આવતા હોય છે તો, પીડિયાટ્રિક અસ્થમા સેગમેન્ટમાં વર્ષ દર વર્ષ ધોરણે બાળકોમાં દમ-અસ્થમાનું પ્રમાણ નોંધનીય રીતે વધતું જાય છે. દર મહિને ૩૦ જેટલા નવા કેસ બાળકોમાં જોવા મળતા હોય છે. ૨૦૧૮માં શહેરમાં અસ્થમાથી પીડાતા લોકોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે,તો, અમદાવાદમાં મોટા ભાગે ૨૦ વર્ષની ઉંમર પૂર્વે અમુકવાર અસ્થમા વિકસતો હોય તેવી આશરે એકતૃતીયાંશ વસતિ છે. ઈનહેલેશન થેરાપીનો ઉપયોગ કરતા દર્દીઓની સંખ્યામાં છેલ્લાં થોડાં વર્ષોમાં વધારો થયો છે ત્યારે આશરે ૪૫૦ ટકા અસ્થમાના દર્દીઓએ ઈનહેલરનો ઉપયોગ બંધ કર્યો હોવાનો અંદાજ છે. અમદાવાદના દર્દીઓની વાત કરીએ તે, દર દસમાંથી સાત દર્દીઓ ઇનેહેલેશન થેરાપીનો ઉપયોગ નહી કરીને ચિંતા જન્માવી રહ્યા છે. અમદાવાદમાં અસ્થમા વધુ પ્રવર્તતો હોવાનાં કારણોમાં વાયુ પ્રદૂષણ છે, જે એર પર્ટિક્યુલેટ મેટર્સમાં વધારો કરે છે, પરાગરજ, ધૂમ્રપાન, ખાવાની ખરાબ આદતો, પોષણની ઓછપ, વારસાગત બમારી અને મોટા ભાગે અવગણનાનો સમાવેશ થાય છે. દરમ્યાન સિપ્લા રેસ્પિરેટરીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સૌરવ મુખરજીએ જણાવ્યું હતું કે અસ્થમા જેવા દીર્ઘકાલીન રોગોમાં જાગૃતિ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવા સંજોગોમાં ઈંબેરોક ઝિંદગી અભિયાનનું લક્ષ્ય દમ-અસ્થમાના લાખો દર્દીઓને  મુક્ત રીતે શ્વાસ લેવામાં મદદરૂપ થવાનું છે અને તેમને ઈનહેલેશન થેરપી અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનું પણ છે. આ સ્થિતિથી સંકોચ રાખવાથી જીવનની ગુણવત્તામાં સુધારણા નહીં થઈ શકશે, પરંતુ તેનો સ્વીકાર કરવાથી જરૂર સુધારણા થઈ શકશે. અસ્થમા દવાઓથી નિયંત્રણમાં આવી શકે છે, પરંતુ યોગ્ય ઉપચાર વિના તેના હુમલા વારંવાર ઊપડી શકે છે,તેથી જાગૃતિ જરૂરી છે.

(9:59 pm IST)