Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભાજપે કર્યા પ્રહાર : કહ્યું રેવડીલાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન:કુલ પદ જ 5,6 લાખ છે

પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને લખ્યું કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યો છે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યની જનતાને આકર્ષવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. એટલે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હાલ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગઈ છે અને બન્ને પક્ષોના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.

બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે ચૂંટણી વાયદાઓ રૂપે રાજ્યની જનતાને બેરોજગારી ભથ્થું, ફ્રી વીજળી, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર મોટી ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને રેવડીલાલ ગણાવીને નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને લખ્યું છે કે રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં સરકારી પદોની કુલ સંખ્યા 5.6 લાખ છે. પાછા રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે.

આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ પણ કેજરીવાલ પર ખોટાં વચનો આપવાનો આરોપ લગાવીને નિશાન સાધ્યું છે. 

નોંધનીય છે કે, આજે બોડેલીમાં રેવડી મામલે કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે જણાવ્યું હતું કે, આ સરકારે 10 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોને વહેંચી દીધા. જેની લોન માફ કરાઈ તેની તપાસ થવી જોઈએ.

(8:11 pm IST)