Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું -લોકોને વીજ પુરવઠો પણ નહીં મળે તેવા સંજોગો સર્જાશે

મફતની લહણીને કારણે આગામી સમયમાં આવી વીજ કંપનીઓ ફડચામાં જશે: ઉમરગામના જાહેર કાર્યક્રમમાં મફત વીજળીની લહાણીની યોજનાઓ મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ મહત્વનું નિવેદન કર્યું

ઉમરગામ: ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય અભિયાન શરૂ કરી દીધું છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં બેરોજગારથી લઈને મફત વીજળીના વાયદાઓ લોકોને કર્યા છે. એટલું જ નહીં, રાજ્યની જનતાને મોટી ગેરંટીઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના એક જાહેર કાર્યક્રમમાં મફત વીજળીની લહાણીની યોજનાઓ મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ એ મહત્વનું નિવેદન કર્યું છે. 

તેમણે જણાવ્યું છે કે, તેઓએ મફત વીજળીની લ્હાણી એ સરકારને પૈસા નહીં ચૂકવી અને મફત વીજળી આપવાની વાત કરી છે. આવી મફતની લહણીને કારણે આગામી સમયમાં આવી વીજ કંપનીઓ ફડચામાં જશે અને લોકોને વીજ પુરવઠો પણ નહીં મળે તેવા સંજોગો સર્જાશે. કેન્દ્ર સરકારના વીજ મંત્રાલય દ્વારા દેશની વીજ કંપનીઓના વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં ગુજરાતની ત્રણ વીજ કંપનીઓએ બાજી મારી છે. અને દેશની પ્રથમ ચાર વીજ કંપનીઓમાં ગુજરાતની ત્રણ કંપનીઓને સ્થાન મળ્યું છે. 

રાજ્યના વીજ વિભાગની આ ઐતિહાસિક સિદ્ધિઓને રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ આજે વલસાડના સરીગામ અને ઉમરગામના જાહેર કાર્યક્રમોમાં પોતાના વિભાગની સિધ્ધિઓથી લોકોને માહિતગાર કર્યા હતા. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસી વિસ્તાર અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઈન અને અન્ય વીજ લાઈનોના અંડર ગ્રાઉન્ડ કેબલિંગના કામનો ખાતમૂર્હત કર્યું હતું. જિલ્લાના શહેરી વિસ્તાર અને જીઆઇડીસી વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઈન અને અન્ય વીજ લાઈનોના વીજ થાંભલાઓ અને વીજ તારના સામ્રાજ્યના કારણે અનેક વખત અકસ્માતો બને છે.

કનુભાઇ દેસાઇ વધુમાં જણાવ્યું હતું કે, વીજ પ્રવાહમાં પણ વિક્ષેપ પડે છે. આથી અનેક વખત લાંબા સમય સુધી વીજ પ્રવાહ ખોરવાય છે. જેની ઉદ્યોગોને મોટી અસર થાય છે. સાથે જ લોકોને પણ મુશ્કેલી અનુભવવી પડે છે. ત્યારે હવે વલસાડ જિલ્લાના શહેરી અને જીઆઇડીસી વિસ્તારોમાં એક પછી એક વિસ્તારોમાં રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ઓવરહેડ વીજ લાઈનોના અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનોમાં પરિવર્તન કરવાના કામો થઈ રહ્યા છે.

આજે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ  દેસાઈએ વલસાડના સરીગામ અને ઉમરગામ જીઆઇડીસી અને શહેરી વિસ્તારોમાં વીજ લાઈનના અંડર ગ્રાઉન્ડ કામના ખાતમુર્હત કર્યું હતું. આ પ્રસંગે વિસ્તારના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે રાજકીય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં  ઉપસ્થિત મેદનીને સંબોધતા રાજ્યના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના વીજ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશની વીજ કંપનીઓની કાર્યક્ષમતા અને તેની ગુણવત્તાના અપાતા રેટિંગમાં આ વખતે વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેન્કિંગમાં ગુજરાતની ત્રણેય વીજ કંપનીઓએ મેદાન માર્યું છે. જેમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને ugvcl નો સમાવેશ થાય છે. 

(6:56 pm IST)