Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મ્યુકરમાઇકોસીસની સારવાર માટે વપરાતી બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

સુરત અને અમદાવાદ ખાતે આ દવાઓનુંવેચાણ કરતી કંપનીઓ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા:CUVICON બ્રાન્ડની Posaconazole Tablets અને Oral Suspension નામની રૂા.૫૦.૧૬ લાખ કિંમતની બનાવટી દવા જપ્ત: તેલંગણા રાજ્યના ઉત્પાદક દ્વારા બનાવટી દવાનું રાષ્ટ્રવ્યાપી સમગ્ર કૌભાંડ ચલાવાતુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ

ગાંધીનગર :રાજ્યના નાગરિકોને ગુણવત્તા લક્ષી દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઇ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત વિસ્તારમાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે રૂા.૫૦ લાખ કિંમતની Posaconazole Tablets (100 mg) અને Oral Suspension (40 mg / ml) બનાવટી દવા પકડી ઉત્પાદકો અને વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.
  તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મહામારી મ્યુકરમાઇકોસીસની સારવારમાં ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી દવા બનાવટી તૈયાર કરીને રાજ્યભરમાં તેનું ડીસ્ટ્રીબ્યુશન થઇ રહ્યુ હોવાની માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે રાજ્યના અલગ અલગ સ્થળે દરોડા પાડી બનાવટી દવાનો જથ્થો પકડી તેને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. રાજ્યમાં વેચાણ માટે ઉપલબ્ધ CUVICON TABLETSના જથ્થામાંથી નમૂના તાત્કાલીક પૃથ્થકરણ માટે મોકલી અપાતા આ દવા ગવર્મેન્‍ટ એનાલીસ્ટના તા. ૬ જુલાઇ-૨૦૨૧થી બનાવટી જાહેર થવા પામ્યુ છે. આથી રાજ્યભરમાંથી આ દવાનો ૧૪૪૦ ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે. તેલંગણાના હૈદ્રાબાદની મે. એસ્ટ્રા ઝેનીક્સ પ્રા. લી.  દ્વારા ઉત્પાદીત CUVICON TABLETS (Posaconazole Gastro-Resistant Tablets 100 mg) અને CUVICON 40 mg / ml Oral Suspension 105 ml દવા કે જેનો ૧૦૫ એમ.એલ.ની એક બોટલનો ભાવ રૂ. ૨૦,૫૦૦ છે. તેવી શંકાસ્પદ દવાની બોટલોનું જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વેચાણ માટે ઉપલબ્ધ આ શંકાસ્પદ દવાના જથ્થામાંથી નમુના લઈ તાત્કાલીક પૃથ્થક્કરણ માટે વડોદરા ખાતે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા મોકલી આપવામાં આવ્યા છે. અન્ય ૧૮૨ દવાની બોટલના જથ્થાનું વેચાણ તાત્કાલીક બંધ કરાવી કાયદેસરના ફોર્મ-૧૫ હેઠળ પ્રોહીબીટ કરી દેવામાં આવ્યુ છે.
  તેલંગણાના ડ્રગ કન્‍ટ્રોલર સાથે આ તંત્રના અધિકારીએ ટેલીફોનીક ચર્ચા કરતાં જાણવા મળ્યુ છે કે આ દવાના ઉત્પાદક દવાના ઉત્પાદન માટેનું પ્રોડક્ટ લાયસન્સ પણ ધરાવતા નથી. આ ઉત્પાદક અને માર્કેટીંગ કરતી હૈદરાબાદની પેઢી મે. Aspen Biopharm Labs Pvt. Ltd દ્વારા આ બનાવટી દવાનું રાષ્ટ્વ્યાપી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાત રાજ્યના અમદાવાદ અને સુરત ખાતે પણ આ બનાવટી દવાનું વેચાણ અલગ અલગ પેઢીમાં કરવામાં આવી રહ્યુ હતુ. જેમાં અમદાવાદ ખાતેની મે. સિધ્ધા ફાર્મસી તથા સુરતના જાંપા બજાર ખાતેની મે.અંબીકા મેડીકલ એજન્સી અને વરાછા રોડ ખાતેની મે. જય અંબે મેડીકો નામની પેઢીઓમાં બનાવટી દવાનું વેચાણ થતું હતુ. આ તમામ દવાઓ અમદાવાદના પાલડી ખાતેની મે. વર્ધમાન ફાર્મા, સાયન્સ સીટી ખાતેની શુકન મેડીકલ એન્‍ડ સર્જીકલ સ્ટોર, સોલા ભાગવત વિધ્યાપીઠ ખાતેની ડેલવીચ હેલ્થકેર એલ.એલ.પી. અને ગાંધીનગરની સેક્ટર ૨૬- જી.આઇ.ડી.સી ખાતેની પોલવેટ કેર સહિતની પેઢીઓને સપ્લાય કરવામાં આવી હતી.
 રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાંથી આશરે રૂ. ૫૦,૧૮,૬૦૦ની કિંમતની કુલ ૧૪૪૦ ટેબલેટ અને ૧૮૨ સસ્પેંશનની બોટલ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદના પાલડી ખાતે આવેલી મે. વર્ધમાન ફાર્માના સંચાલક નૈતીક મંગળદાસ શાહ ભુતકાળમાં પણ આવી બનાવટી દવાઓના કૌભાંડમાં સંકળાયેલ છે અને તેઓ આ બાબતમાં રિઢા ગુનેગાર સાબીત થઇ ચૂક્યા છે. આ એક રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોઇ સમગ્ર કૌભાંડ અંગે ભારત સરકારના ડ્રગ્સ કન્‍ટ્રોલર જનરલને જાણ કરવામાં આવી છે જેથી તમામ રાજ્યો આ બાબતે ઘટીત કાર્યવાહી કરે તે માટે તેઓ દ્વારા જરૂરી હુકમો જારી કરવામાં આવે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સજાગતાથી કામ કરી તેલંગણા રાજ્યના ઉત્પાદક દ્વારા બનાવટી દવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં હૈદ્રાબાદના ઉત્પાદક દ્વારા બનાવટી દવા વેચવાના ચલાવવામાં આવતા કૌભાંડની તપાસના આદેશ માટે કમિશ્નર ડૉ.એચ.જી.કોશીયાએ તજવીજ હાથ ધરી છે. આ ઉત્પાદક દ્વારા ગુજરાતમાં કેટલી દવાનો જથ્થો ખરીદ અને વેચાણ કરવામાં આવ્યો છે તે અંગેની તપાસ ઔષધ નિરીક્ષક દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ દવાના વેચાણમાં સંડોવાયેલા તમામ દવાના વિતરકો અને મેડીકલ સ્ટોર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા ઔષધ નિરીક્ષકોની ટીમે તપાસનો દોર શરૂ કર્યો છે. આ બનાવટી દવાનું વેચાણ કરતા લોકો વિરુધ્ધ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ ૨૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી  છે. જેમાં ૧૦ વર્ષથી લઈ આજીવન કેદની સાથે ૧૦ લાખથી વધુ દંડની સજાની જોગવાઇ છે.

(7:53 pm IST)