Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતાઃ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલઃ કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ખોઇ નિરાધાર બનેલા રાજ્યના ૭૭૬ બાળકોને પ્રતિ બાળક રૂ.૪ હજારની સહાય અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન ક્લીકથી બાળકોના ખાતામાં જમા કરાવ્યા

કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દર્શાવી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર૯મી મે એ જાહેર થયેલી ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના"નો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી  છે

કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને પ્રતિ બાળક દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીશ્રી એ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

તદઅનુસાર, અમદાવાદ જિલ્લામાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪, જૂનાગઢ-ર૮, ડાંગના-૧૧, તાપીના-૧૭, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-૧૩, નર્મદાના-૧ર, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, પાટણ-રર, પોરબંદર-૧૧, બનાસકાંઠા-ર૧, બોટાદ-૧૩, ભરૂચ-૧૯, ભાવનગર-૪ર, મહિસાગર-૯ તેમજ મહેસાણા-રર, મોરબી-૧ર, રાજકોટ-પ૮, વડોદરા-૩ર, વલસાડ-ર૬, સાબરકાંઠા-૩૬, સુરત-ર૯ અને સુરેન્દ્રનગરના-૧૬ મળી કુલ ૩૩ જિલ્લાના ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કરી હતી. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો

તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે પાંચ બાળકોને કીટ પણ આ અવસરે અર્પણ કરી હતી

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બાળકો સાથે આવેલા તેમના પાલક વાલી સાથે પણ સંવેદના સભર સંવાદ કરી બાળકોના દિવંગત માતા પિતા વિશે પૃચ્છા કરી હતી

રાજ્યના ૩૩ જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને ૪,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે

જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે.

ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું ગાંધીનગરથી લોન્ચિંગ કરાવતાં  કહ્યું કે નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે

બાળક ભાવિ નાગરિક છે અને એના ભવિષ્ય નો વિચાર કરીને રાજ્ય સરકાર  આ યોજનાથી નિરાધાર બાળકની પાલક બની  છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે કે માતા- પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે

તેમણે કેન્દ્રની  પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશમાં કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે PM Cares ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી.

રાજ્ય સરકારે પણ નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને ૪,૦૦૦ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આદર્યો છે તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું કે આ સરકાર ગરીબ વંચિત પીડિત લોકોને ,સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને બધી જ કલ્યાણ યોજનાઓ બનાવી તેનો અમલ કરી રહી છે અને કરતી રહેશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા નિરાધાર બનેલા ૭૭૬ બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિત ની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને બિરદાવ્યું હતું

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, મુખ્યમંત્રીશ્રીના  મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, આદિજાતી કમિશનર શ્રી દિલીપ રાણા નિયામક શ્રી નાચીયા અને અધિકારીઓ આ વેળાએ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા મથકોએથી સાંસદશ્રીઓ , ધારાસભ્યો, પદાધિકારીઓ  અને લાભાર્થી બાળકો તેમજ વાલીઓ  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ  કાર્યક્રમમાં જોડાયા હતા

(5:34 pm IST)