Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કુખ્યાત લાલુ જાલીમ યુપીથી ઝડપાયો, ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

ગેંગના સભ્યો પર અત્યારસુધીમાં 94 ગુનાહિત કેસો દાખલ : ખૂનની કોશિશ અપહરણ, લૂંટ ખંડણી, ધમકી ત્રાસ, તથા આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ સંબંધિત અનેક સંગઠિત અપરાધ

સુરત શહેરીમાં આતંક મચાવનાર લાલુ જાલીમ ગેંગ 11 લોકો સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા GCTOC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેતે સમયે 11માંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓને વૉન્ટેડ જાહેર કરાયા હતાં.  આ ગેંગના સભ્યો પર અત્યારસુધીમાં 94 ગુનાહિત કેસો દાખલ થયા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે લાલુ જાલીમની યુપી થી અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા સુરત શહેરમાં કાર્યરત જુદી-જુદી ગેંગોની ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવતા શહેરમાં અમિત ઉર્ફે લાલુ જાલીમ ગેંગ તરીકે કુખ્યાત ટોળકીના સાગરીતોએ જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ અપહરણ જેવા શરીર સંબંધી, લૂંટ ખંડણી જેવા મિલકત સંબંધી તથા ગુનાહિત ધમકી ત્રાસ, તથા આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ સંબંધિત અનેક સંગઠિત અપરાધ કર્યા છે. આ ટોળકીના સાગરિતો દ્વારા સુરત શહેરમાં અમરોલી, કતારગામ, અઠવા, સચિન, ઈચ્છાપુર, ઉધના, રાંદેર, ચોક બજાર, મહિધરપુરા, ઉમરા, સુરત રેલવે, સુરત ગ્રામ્ય, ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક ઊભું કરી તમામ આરોપીઓએ સંગઠિત થઇ વ્યક્તિગત ગુનો આચરતા હતા.

સ્થાનિક વિસ્તારમાં આતંક વધતા સુરત પોલીસ દ્વારા ગુજરાત આતંકવાદ અને સનગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 (GCTOC) અન્વયે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કુખ્યાત અમીત ઉર્ફે લાલુ જાલીમ અને તેની ગેંગના દિપક જોગીન્દર જયસ્વાલ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નિલેશ ઉર્ફે મીયો દિલીપ અવચીતે, જગદીશ ઉર્ફે ભાઇ ચોટલી કરશન કંટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે, નિકુંજ ઉમેશ ચૌહાણ, રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ સીતારામ શિંદે, નયન વસંત બારોટ અને અવનેશકુમાર ઉર્ફે અન્નુ દશરથસીંગ રાજપુત વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો હતો.

આ તમામ વિરુદ્ધ કલમ 307, 324, 325, 143, 147, 148, 149 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. કુલ 94 કેસોમાં આ ગેંગના સભ્યોની સંડવણી સામે આવી છે. પોલીસ ફરિયાદ થઇ ત્યારથી લાલુ જાલીમ સહિત અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા હતા દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી કે લાલુ જાલીમ ઉત્તર પ્રદેશના બનારસ ખાતે છુપાયેલો છે લોકલ પોલીસની મદદથી સુરત ક્રાઈમ બ્રાન્ચે લાલુ જાલીમ પર વોચ રાખી તેની ધરપકડ કરી હતી ધરપકડ બાદ લાલુ જાલીમ ને સુરત લાવવામાં આવ્યો હતો જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

લાલુ જાલીમ ઉપરાંત નિકુંજ ચૌહાણ ની પણ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ધરપકડ કરી હતી. આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીઓને પોલીસ કસ્ટડીનો હુકમ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણના 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા,

કોર્ટે 20મી જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે ગાજીપુરા ગેંગના કપિલને 13મી જુલાઇ સુધીના રિમાન્ડ અપાયા હતા. લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા હતા. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. માથાભારે લાલુ જાલીમની સામે 24થી વધુ ગુનાઓ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય ક્રાઇમ બ્રાંચે તેની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી જ્યારે આરોપી નિકુંજ સમે કુલ 11 ગુના નોંધાયેલાં છે. જ્યારે આ ગેંગ સામે 94 ગુના નોંધાયા છે.

(11:15 pm IST)