Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

તાપી શુદ્ધિકરણ માટે નાણાં ફાળવણીની મંજુરી અપાઈ

શુદ્ધિકરણના બીજા તબક્કા માટે રકમ અપાશેઃ તાપી નદી સુરત શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સોર્સ

અમદાવાદ,તા.૬: મુખ્યમંત્રી વિજય રૂપાણી નેશનલ રિવર કન્ઝરવેશન પ્રોગ્રામ અન્વયે સુરતની તાપી શુદ્ધિકરણના બીજા તબક્કા માટે રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અન્ને એ નિર્દેશ કરવો જરૂરી છે કે તાપી નદી સુરત શહેર માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત છે. તેના કિનારાને અડીને આવેલા જુદા જુદા ગામો, નગરો અને સુરત શહેરનો ઉત્તરોત્તર વિકાસ થયેલ છે. તેના ભાગરૂપે તાપી નદીમાં જુદા-જુદા વિસ્તારની ખાડીઓ,આઉટ લેટસ મારફતે અશુદ્ધિઓ ભળવાના કારણે નદીમાં પાણીની ગુણવત્તાને અસર થતી હોઈ, તેના કાયમી અને લાંબાગાળાના નિરાકરણ માટે મુખ્યમંત્રીના આદેશ અનુસાર સુરત મહાનગરપાલિકાએ કન્સલટન્ટ પાસેથી ઓએનજીસી બ્રીજથી સુડાની હદ સુધીનો સુરત મહાનગરપાલિકા હસ્તકનો વિસ્તાર અને સુડાની હદ વિસ્તાર બાદ કાંકરાપાર વિયર સુધીનો રાજ્ય સરકાર હસ્તકનો વિસ્તાર આવરી લઈને સમગ્ર વિસ્તાર માટે સુગ્રથિત આયોજન કરવાના હેતુસર અંદાજીત ૯૨૨.૧૮ કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ કાંકરાપાર વિયરથી સુરત શઙેરના ઓએનજીસી બ્રીજ સુધીના તાપી નદીમાં પડતાં મહત્વના ૨૪ આઉટલેટરસને ઈન્ટરસેપ્ટ કરી તેના કલેક્શન, ટ્રાન્સમીશન, ડીસ્પોઝલ અને ટ્રીટમેન્ટનું આયોજન છે. સુડા વિસ્તારના કુલ ૧૫ ફળિયા, ગામડા, નગરોને તથા રાજ્ય સરકાર વિસ્તારનાં ૫૯ જેટલા ફળિયા, ગામડા, નગરોને આવરી લઈ તેના ગંદા પાણીને નદીમાં ભળતા રોકવા માટે તેને ઈન્ટરસેપ્ટ કરી, આનુસાંગિક ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પંપીગ સ્ટેશન, ટ્રાન્સમીશન લાઈન સહિત જરૂરીયાત મુજબ ટ્રીટમેન્ટ કરી તેના નિકાલ કરવાનું આયોજન છે. આ સમગ્ર ડીપીઆર અન્વયે જરૂરીયાત મુજબ ડાયવર્ઝન ડેમ, ગ્રેવીટી મેઈન, રાઈઝીંગ મેઈન, સુએઝ પંપીગ સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ડીસ્પોઝલ પાઈપ લાઈન નાંખવાના પ્રકલ્પો આવરી લેવામાં આવ્યા છે. આ મુજબ અંદાજે ૨૦૨ કિમી ડ્રેનેજ નેટવર્ક, ૩૬ જેટલા સુએઝ પંપીગ સ્ટેશન તથા ૩૧ જેટલા નાના મોટા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ તથા તેને સંલગ્ન અન્ય કામગીરીને આવરી લેવામાં આવી છે. જેમા રાજ્ય સરકાર હસ્તકના વિસ્તારમાં ૫૯ એમએલડી સુડા વિસ્તારનું ૩૦૨ એમએલડી અને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૯૯ એમએલડી એમ ત્રણેય વિસ્તાર મળીને મહત્તમ ૬૬૦ એમએલડી જેટલુ ગંદુ પાણી શુદ્ધ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટનો ડીપીઆર રાજ્ય સરકારે મંજૂર કર્યો છે. તે કેન્દ્ર  સરકારના નેશનલ રીવર કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ ગ્રાન્ટ મેળવવા માટે મોકલ્યો છે. એનઆરસીપીની અદ્યતન નાણાંકીય સહાય પદ્ધતિ અનુસારના રેશિયો મુજબ નાણાકીય સહાય મળે છે.

(10:50 pm IST)