Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

૨૦ ટકા એચઆરએ અને સીએલએની રાહત યથાવત

ગાંધીનગરના શિક્ષકો સહિતના કર્મીઓને રાહત : એચઆરએ તેમજ સીએલએનો લાભ નકારતી સરકારની હાઇપાવર કમીટીના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર ફેંકાયો

અમદાવાદ,તા. ૭ :  ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શાળાઓના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફના શિક્ષકો સહિતના સંખ્યાબંધ કર્મચારીઓને એચઆરએ(હાઉસ રેન્ટ એલાઉન્સ)અને સીએલએ(કોમ્પેન્શેટરી લોકલ એલાઉન્સ)નો લાભ નકારવાના રાજય સરકારના વિવાદીત નિર્ણય સામે સંખ્યાબંધ કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. જેની સુનાવણીમાં જસ્ટિસ આર.એમ.છાયાએ રાજય સરકાર, રાજયના નાણાં વિભાગના નાયબ સચિવ, શિક્ષણ સચિવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરૃધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી છે અને અરજદારોને મૂળ પગારના ૨૦ ટકા પ્રમાણે એચઆરએ અને નિયમોનુસાર સીએલએ ચૂકવવાની અગાઉ હાઇકોર્ટે આપેલી વચગાળાની રાહત ચાલુ રાખી હતી અને તેઓને બહુ મોટી રાહત આપી હતી. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી તા.૯મી જૂલાઇએ રાખી હતી. ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો સહિત સંખ્યાંબંધ કર્મચારીઓ તરફથી કરાયેલી રિટ અરજીઓમાં સિનિયર એડવોકેટ પરસી કાવિના, એડવોકેટ વિરલ સલોત અને એડવોકેટ દિપક પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારો ગાંધીનગર જિલ્લાના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફના કર્મચારીઓ છે.  રાજય સરકાર દ્વારા ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરી જૂથની વ્યાખ્યા નક્કી કરી તે મુજબ એચઆરએ અને સીએલએ ચૂકવાતું હતું. છેલ્લે ૨૦૧૧ની વસ્તી ગણતરી થઇ હતી પરંતુ તે મુજબ સરકારે નવા એરિયામાં સમાવિષ્ટ વિસ્તારોને ધ્યાનમાં રાખી અને નવા પગારપંચની અમલવારી કરીને તે મુજબ એચઆરએ અને સીએલએનો લાભ આપવો જોઇએ પરંતુ સરકાર દ્વારા તે મુજબ અરજદારોને એચઆરએ અને સીએલએનો લાભ અપાતો નથી. અરજદારોને ૧૫ ટકા એચઆરએ પ્લસ છઠ્ઠા પગાર પંચ મુજબ પાંચ ટકાનો વધારો મળી ૨૦ ટકા એચઆરએ મળવું જોઇએ અને એ જ પ્રકારે રૃલ્સ અને નોર્મ્સ મુજબ સીએલએ પણ મળવું જોઇએ પરંતુ તે મુજબ એચઆરએ અને સીએલએ નહી અપાતાં અગાઉ કેટલાક કર્મચારીઓ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જુદી જુદી રિટ અરજીઓ દાખલ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે અરજદાર કર્મચારીઓને ૨૦ ટકા પ્રમાણે એચઆરએ અને નિયમ મુજબ, સીએલએ ચૂકવવાની વચગાળાની રાહત આપી આ મેટર સરકાર દ્વારા નિયુકત હાઇપાવર કમીટીને નિર્ણયાર્થે રિફર કરી હતી. જો કે, હાઇપાવર કમીટીએ તા.૮-૩-૨૦૧૮ના રોજ અરજદાર કર્મચારીઓની વિરૃધ્ધમાં નિર્ણય લઇ આ પ્રકારે એચઆરએ અને સીએલએ તેમને ચૂકવવા માટે ગેરલાયક ઠરાવ્યા હતા અને અરજદારોને તેનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદાર કર્મચારીઓ તરફથી સિનિયર એડવોકેટ પરસી કાવિના, એડવોકેટ વિરલ સલોત અને એડવોકેટ દિપક પટેલે હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારો ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અને ખુદ સરકારના ઠરાવો અને સંબંધિત જોગવાઇ મુજબ, ઉપરોકત એચઆરએ અને સીએલએનો લાભ મેળવવા હકદાર ઠરે છે. એટલે સુધી કે, કેન્દ્ર સરકારે છેલ્લા પગારપંચ મુજબ, ૩૦ ટકા એચઆરએ અને નિયમોનુસાર સીએલએની અમલવારી કરી દીધી છે પરંતુ રાજય સરકાર હજુ સુધી તેનો અમલ કરી શકી નથી. આમ, સરકારની હાઇપાવરની કમીટીનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને ગેરવાજબી હોઇ હાઇકોર્ટે રદબાતલ ઠરાવવો જોઇએ. આ રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર કર્મચારીઓને ઉપરમુજબ રાહત આપી હતી.

(9:30 pm IST)