Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ગાંધીનગરનાં સંસ્કૃતિકુંજ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વસંતોત્સવ – ૨૦૨૧ની પ્રારંભ

વસંતોત્સવની ઓળખ આનંદ – ઉત્સવ બની ગયા છે.:કોરોના કાળમાં પણ મર્યાદિત લોકો વચ્ચે પરંપરા મુજબ વસંતોત્સવના કાર્યક્રમનું આયોજન :રમતગમત, યુવા સાંસ્કૃતિ પ્રવૃત્તિ અને સંગીત અકાદમી માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પણ ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી

અમદાવાદ : આપણે આપત્તિના સમયે ડરી જવાની જરૂર નથી. પરંતુ આપત્તિને અવસરમાં પલટાવી નાખવાની છે, તેવું આજરોજ ગાંધીનગરના આંગણે આયોજિત ૨૫મા વસંતોત્સવને દીપ પ્રાગટય કરીને પ્રારંભ કરાવતા રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું

રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ મર્યાદિત લોકો વચ્ચે પરંપરા મુજબ વસંતોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડનગરનો તાના રીરી મહોત્સવ  અને મોઢેરાનો ઉત્તરાર્ધ મહોત્સવ તથા વસંતોત્સવ તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમયથી લોકપ્રિય બન્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત અને ભારતની સંસ્કૃતિની આલ બેલ પેાકારતા વસંતોત્સવનો પ્રારંભ સંગીત, નૃત્ય અને વાદિય ની પસ્તુતિ થકી ઉજવણી કરવામાં આવે છે. વસંતોત્સવ એટલે માંગલિક કાર્ય, ઉત્સવ, શીતલ હવા, ખીલતા પુષ્પો, કેરીનું આગમન, ફાગણના મોજીલા ગીતો છે. વસંતોત્સવની ઓળખ આનંદ – ઉત્સવ બની ગયા છે. વસંતના વધામણા કરવા વિધા અને સંગીતની દેવી મા સરસ્વતીની ઉપાસના આપણે સૌ કરી છીએ.
   મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રમતગમત, યુવા સાંસ્કૃતિ પ્રવૃત્તિ અને સંગીત અકાદમી માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પણ ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત ખેલ મહાકુંભ  થકી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને એવોર્ડ મેળવ્યા છે. તેમ ગુજરાતના કલા મહાકુંભ થકી કલાકારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.                    
 આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગુજરાત સાંસ્કૃતિ વારસાની એાળખ આગવી છે. ગરબા, ભવાઇ, લોક મેળાઓ અને લોકનૃત્યએ ગુજરાતની ઓળખ છે. ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાની વિશ્વ ફલક પર ઓળખ ઉભી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારતના સાંસ્કૃતિક વરસાનો પર્યાય એવા વસંતોત્સવમાં ઉપસ્થિત સર્વે કલાકારોનું પણ તેમણે હદયના ઉમળકાથી સ્વાગત કર્યું હતું.
   કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા નૃત્યાંગના શ્રીમતી ઐશ્વર્યા વોરીયર અને તેમના ગૃપ દ્વારા ભરતનાટ્ટયમ શૈલીમાં સરસ્વતી વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ પટીયાલા ઘરાનાનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખ્યાતનામ ગાયિકા શ્રીમતી કૌશિકી ચક્રવર્તી દ્વારા શાસ્ત્રીય સંગીત અને કાર્યક્રમનાં અંતિમ ચરણમાં રાજકોટનાં સંગીત તજજ્ઞ શ્રીમતી પીયુબેન સરખેલ દ્વારા શાસ્ત્રીય સંગીત રજુ કરવામાં આવ્યું હતુ. જેને વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત એકસો (૧૦૦) થી વધુ શાસ્ત્રીય સંગીતના સન્નમાનીય કલાકારોએ માણ્યું હતુ.
   કાર્યક્રમમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ, કમિશનર  ડી.ડી. કાપડિયા, ગાંધીનગર જિલ્લા કલેકટર  ર્ડા કુલદીપ આર્ય સહિત રાજયના  ગણમાન્ય કલાકારોમાં કિર્તિદાનભાઇ ગઢવી, લલીતાબેન ઘોડાદરા તથા રાજકોટની હિરાણી પર્ફોમિંગ આર્ટસ કોલજના કલાકારઓ, વડોદરાની ગોવિંદ વેણુ સંગીત વિદ્યાલય અને સંગમ મ્યુઝીક અકાદમી તથા પરફોર્મિંગ આર્ટ મ્યુઝીક કોલેજના કલાકારઓ, અમદાવાદની સંગીત સંસ્થાના કલાકારઓ ઉપલ્થિત રહ્યા હતા. ગાંધીનગરનું અરવિંદ સંગીત કલા કેન્દ્ર અને સુર મધુર સંસ્થાના કલાકારો અને પાટણથી Department Of Music પી.કે.કોટાવાળા આર્ટસ કોલેજ, એમ.એ.પરીખ ફાઇન આર્ટસ કોલેજ અને ધ્વની શાસ્ત્રિય સંગીત સંસ્થાના કલાકારો તથા જુનાગઢની સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

(9:25 pm IST)