Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

પાવર ટ્રીપ થતાં મેટ્રોના પૈડા થંભી જતાં યાત્રીઓ પરેશાન

ઉતાવળે મેટ્રોનું લોકાર્પણ પણ સુવિધાઓ ઓછીઃ મેટ્રો સ્ટેશન ઉપર પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ : પાણીની પણ સુવિધા નહી હોવાથી લોકો દ્વારા શ્રેણીબદ્ધ ફરિયાદો

અમદાવાદ, તા.૭: તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયેલ મેટ્રો રેલ આજે એપરેલ પાર્કથી વસ્ત્રાલ પરત ફરી રહી હતી ત્યારે અચાનક પાવર ટ્રીપ થતાં વીજપુરવઠો ખોરવાવાના કારણે મેટ્રો રેલના પૈડા અચાનક થંભી ગયા હતા, જેના કારણે મુસાફરો બેઘડી આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. લગભગ ૧૫થી ૨૦ મિનિટ સુધી પાવર ટ્રીપની સમસ્યા સર્જાતાં તંત્ર પણ દોડતું થઇ ગયું હતું અને તાકીદે તેનું નિરાકરણ કરી મેટ્રોને દોડતી કરી હતી. લોકાર્પણ બાદ તા.૬ઠ્ઠીથી મેટ્રોની ફ્રી મુસાફરી જાહેર કરાઇ હોઇ બે દિવસમાં ૧૨ હજારથી વધુ મુસાફરોએ તેની સફરનો લાભ લીધો હતો. ઘણા લાંબો સમય રાહ જોયા બાદ આખરે મેટ્રો રેલનું લોકાર્પણ થયું અને હાલ પ્રાથમિક તબક્કામાં નગરજનોને વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો રેલની સફરનો લાભ શરૃ થયો છે પરંતુ બીજીબાજુ, મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ સહિતની અન્ય બુનિયાદી સુુવિધાને લઇ તંત્ર ઉદાસીન હોવાની ગંભીર બાબત સામે આવી છે. મેટ્રો રેલની મુસાફરી આવતાં નાગરિકોને પોતાના વાહન પાર્ક કરવા માટે યોગ્ય પાર્કિંગ સુવિધા જ ઉપલબ્ધ બનાવાઇ નથી. એટલું જ નહી, લોકોને પીવાના પાણી પણ ઠેકાણાં નથી. જેના કારણે નાગરિકો મેટ્રો રેલ સત્તાધીશોના ઉદાસીન અને વલણ સામે નારાજગી વ્યકત કરવા સાથે હવે ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે કે, મેટ્રો રેલનું વડાપ્રધાનના હસ્તે ઉતાવળે ઉતાવળે લોકાર્પણ કરાવી દેવડાવ્યું પરંતુ પાયાની સુવિધાઓ નગરજનોને ઉપલબ્ધ કરાવવામાં તંત્રની ઉદાસીનતા ખુલ્લી પડી છે. તાજેતરમાં જ તા.૪ માર્ચના રોજ પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનુ લોકાર્પણ કર્યું તે ગુજરાત માટે એક ગૌરવની વાત છે. પણ જ્યારે સુવિધાની વાત આવે ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના મેટ્રો સ્ટેશન પર વાહન પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી. લોકો બ્રિજની નીચે અથવા તો જે માર્ગ બંધ છે તે જગ્યાએ જ આડેધડ વાહનો પાર્ક કરી રહ્યાં છે. ત્યારે મોટો પ્રશ્ન છે કે મેટ્રોમાં મુસાફરી કરતા લોકો પોતાના વાહનો ક્યાં પાર્ક કરશે? મળતી માહિતી મુજબ, મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સાથે-સાથે પાણીની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નથી. જો કે, સુત્રોએ જણાવ્યાં પ્રમાણે મેટ્રો પ્રોજેક્ટમાં હાલ કેટલાક ભાગનું કામ બાકી છે. અમદાવાદ બીઆરટીએસને લગભગ ૧૦ વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી તેના બસ સ્ટેન્ડની આસપાસ વાહનોના પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ બીઆરટીએસનું મેનેજમેન્ટ પણ વિખરાયેલું છે. બીઆરટીએસના કોરિડોરમાં એએમટીએસની બસો પણ ચાલે છે.

આવી જ સમસ્યાઓ મેટ્રોમાં ઉભી થશે તો બીઆરટીએસની જેમ મેટ્રોપણ ફેલ જશે તેવા સવાલો અત્યારથી ઉઠવા માંડયા છે. ૬૭ લાખની વસતી અને ૫૦ કિમીમાં ફેલાયેલા અમદાવાદ શહેરમાં હવે ધીમે-ધીમે ગીચતા વધી રહી છે. મુસાફરીની વાત કરીએ તો શહેરના કોઈપણ સ્થળ પરથી અન્ય સ્થળે જવું હોય તો ૪૫ મિનિટ જેટલો સમય લાગે છે. હાલ શહેરમાં રિક્ષા, કેબ, એએમટીએસ, બીઆરટીએસ ચાલી રહી છે. તો બીજી તરફ છેલ્લા ૫ વર્ષમાં વાહનોની સંખ્યા વધી રહી છે. જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકાર અને તંત્રએ મેટ્રો રેલના સફળતાના દાવા કર્યા બાદ હવે તે કયાંક ખોટા ના પડી જાય તેની બહુ ગંભીરતાપૂર્વક કાળજી અને સાવધાની લેવી પડશે.

(10:04 pm IST)