Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અંતે નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીને શરતી જામીન અપાયા

પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતો બાદ જામીન : નિત્યાનંદ આશ્રમ વિવાદના કેસમાં સાધ્વી પ્રાણપ્રિયા અને તત્વાપ્રિયાને આખરે મીરઝાપુરની ગ્રામ્ય કોર્ટ દ્વારા જામીન

અમદાવાદ,તા. ૭ : અમદાવાદ શહેરના હાથીજણના હીરાપુર પાસેના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઝડપાયેલી આશ્રમ સંચાલિકા બંને સાધિકાઓ તત્વાપ્રિયા અને પ્રાણપ્રિયાને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે બંને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા, સપ્તાહમાં બે વખત પોલીસમથકમાં હાજરી આપવા, કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરવા નહી સહિતની શરતો સાથે જામીન આપ્યા હતા. અગાઉ ચકચારભર્યા આ કેસમાં મીરઝાપુરા કોર્ટે બે મહિના પહેલાં જ  બંને સાધિકાઓની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.  નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની જામીન અરજીનો વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલી રહી છે. આશ્રમમાંથી ગુમ થયેલી બે બહેનોની ભાળ હજુ મળી નથી,

      હાઇકોર્ટે આ બંને યુવતીઓને શોધી લાવવા માટે પોલીસ અને તપાસનીશ એજન્સીને હુકમ કરેલો છે ત્યારે સમગ્ર પ્રકરણમાં તપાસના કામે આરોપીઓની ભૂમિકા ઘણી મહત્વની હોઇ હાલના સંજોગોમાં જયારે તપાસ નાજુક તબક્કામાં હોઇ તેઓને જામીન આપી શકાય નહી. જો બંને સાધિકાઓને જામીન અપાય તો કેસની ચાલી રહેલી તપાસને ગંભીર અને વિપરીત અસર થશે. જો કે, સાધિકાઓ તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, અરજદાર મહિલાઓ છે અને છેલ્લા બે-અઢી મહિનાથી જેલમાં છે. અરજદાર મહિલાઓ હોઇ કયાંય નાસી ભાગ જાય તેમ નથી,

      વળી, અદાલત દ્વારા નિયત કરાયેલી શરતોનું પાલન કરવા પણ તેઓ તૈયાર છે જેથી કોર્ટે અરજદાર સાધિકાઓના જામીન મંજૂર કરવા જોઇએ. પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે બંને સાધિકાઓના શરતી જામીન મંજૂર રાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરીણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંદા (ઉ.વ. ૩૦) તથા રિધી રવિકિરણ ઉર્ફે માં નિથ્યા તત્વાપ્રિયાનંદા (ઉ.વ. ૨૪) ની ધરપકડ કર્યા બાદ મિર્ઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજુ કરી ગુજરાત પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આશ્રમની બન્ને સાધિકાઓના ૫ાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ધરપકડ બાદ બે-અઢી મહિના પછી બંને સાધિકાઓને આજે જામીન મળતાં રાહત થઇ છે.

(8:37 pm IST)