Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

દહેગામના ખાખરામાં સૈનિકે માથામાં ગોળી મારીને કર્યો આપઘાત !

સરપંચ સરદારસિંહ ઝાલાના એકનાએક પુત્ર સરદારસિંહ ઝાલાએ આપઘાત કર્યો કેમ ?કારણ અકબંધ

દહેગામના ખાખરા ગામમાં ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ ઝાલાએ પોતાની ખાનગી બંદુકથી માથામાં ગોળી મારી આપઘાત કરતા શોકની લાગણી ફેલાઈ છે  દહેગામ પોલીસની સાથે સેના પોલીસે પણ આ મામલાની વધુ તપાસ હાથ ધરી આપઘાતના કારણો જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.

  પરિવારજનો મુજબ ઘરમાં કંકાસ કે આર્થિક સંકડામણ જેવા વિપરિત સંજોગો ન હતા.ધર્મેન્દ્રસિંહના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.આનંદી સ્વભાવના ધર્મેન્દ્રસિંહ બંદુક સાફ કરતા હતા ત્યારે આ ઘટના બની હશે તેમ લાગ્યું હતું. પોતે જાતને ગોળી મારી દે તે વાત માન્યામાં આવતી નથી.

  સેનામાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉત્તરાયણની રજામાં ઘરે આવ્યા હતા અને દસેક દિવસ પછી ફરજ પર હાજર થવાના હતા. પૂના ખાતે ૪૧ ટ્રોશ યુનિટમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઘરે એકલા હતા ત્યારે આ ઘટના બની હતી. ધર્મેન્દ્રસિંહના પિતા સરદારસિંહ ઝાલા ખાખરા ગામના સરપંચ છે. તેમને સંતાનમાં એક માત્ર દીકરો ધર્મેન્દ્રસિંહ હતા. ત્રણ વર્ષ બાદ તેઓ લશ્કરમાંથી નિવૃત્ત થવાના હતા.

   ઘટનાની તપાસ કરી રહેલા પીએસઆઈ વી.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, માથામાં ઘા ના નિશાન તથા અન્ય પરિબળો જોતા તેમણે જાતે જ માથામાં ગોળી મારી હોય તેમ લાગી રહ્યું છે. તપાસ ચાલુ છે અને અત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. એફ.એસ.એલની ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી તપાસ ચાલુ કરી છે. ઘટના અંગે જાણ થતાં સેના પોલીસ પણ આવી પહોંચી હતી

(11:08 pm IST)