Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

એકપણ શિશુ જીવનનો પથ ઘોડિયામાં પૂરો કરે એ શરમજનક બાબતઃ પરેશભાઇ ધાનાણીની સટાસટી

અમદાવાદઃ રાજ્યની હોસ્પિટલમાં બાળકોના મોત થતાં હોવાનો મુદ્દો સામે આવ્યા બાદ વિપક્ષ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં દરરોજ 99 બાળકોના મોત થવાનો આક્ષેપ કર્યો છે. વિપક્ષના નેતાએ કહ્યું કે, ગુજરાતમાં ભારતનું ભવિષ્ય માની કૂખમાં મુઝરાય જાય છે. નવજાત બાળકોના મોત સૌ માટે ચિંતાનો વિષય છે. ગતિશીલ અને પ્રગતશીલ ગુજરાતની વાતો કરતી સરકાર આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગઈ અને હોસ્પિટલોનું ખાનગીકરણ થઈ રહ્યું છે.

આરોગ્ય સેવાને વેપારમાં પરિવર્તિત કરવાનું ષડયંત્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં દર વર્ષે 12 લાખ શિશુ જન્મે છે 12 લાખમાંથી 30 ટકા બાળકોનું જીવન ઘોડિયામાં સમાપ્ત થાય છે. દર વર્ષે 36 હજાર બાળકો ઘોડિયામાં મૃત્યુ પામે છે. દરરોજ 99 બાળકો જન્મ લઈને મોત પામી રહ્યાં છે. સરકાર ઉત્સવો અને કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો વ્યર્થ ખર્ચ કરે છે.

સરકારી ચોપડે નોંધાયા ના હોય એવા ખાનગી હોસ્પિટલમાં મોત પામનાર બાળકોનું સત્ય સરકારે છુપાવ્યું છે. વણ નોંધાયેલા બાળકોનો મૃત્યુ દર આનાથી વધુ છે. વિધાનસભામાં સરકાર વાહવાહી કરે છે પરંતુ ભાજપના શાસનમાં સરકારી હોસ્પિટલો ઓછી થઈ રહી છે. 45 ટકા કરતા વધુ ડોક્ટરોની ઘટ રાજ્યમાં છે. ડોક્ટરો છે ત્યાં સારવારના સાધનોનો અભાવ છે તો ક્યાંક દવાનો અભાવ જોવા મળે છે. રાજ્યમાં ગંભીર કટોકટીની સ્થિતિ ભાજપે ઉભી કરી છે.

ગુજરાતમાં 55 ટકા કરતા વધુ માતાઓ કુપોષણનો સામનો કરી રહી છે.  45 ટકા બાળકો કુપોષણનો સામનો કરી રહ્યા છે.  34 હજારથી વધુ જગ્યાઓ ગુજરાતમાં વિવિધ વર્ગની ખાલી છે. સરકાર આરોગ્યની સેવાના નામે વેપારની વૃત્તિથી આગળ વધી રહી છે.  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને વિનંતી કે, એક પણ શિશુ જીવનનો પથ ઘોડિયામાં પૂરો કરે એ શરમજનક છે. 

આ સાથે વિપક્ષના નેતાએ કહ્યું કે, જે જગ્યાઓ ખાલી છે તે રાજ્ય સરકાર તાત્કાલિક ભરે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસ સકારાત્મક રીતે સરકારને જગાડવા પ્રયાસ કરશે.  આ મુદ્દાને લઈને 8 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના આગેવાનો રાજ્યપાલની મુલાકાત કરશે.  ભાજપની નિષ્ફળ નીતિઓને રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરશે. 

આ સાથે પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે, દેશમાં 50 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર છે. મોંઘવારીએ માજા મુકી છે. પરેશ ધાનાણીએ વધુમાં ઉમેર્યુ કે આજે ગુજરાતના સીમાળાના વિસ્તારના લોકો ગુજરાતમાં સારવાર લેવા આવે છે. પાડોશીઓ પર આરોપ મુકવાના ભાજપના કૃત્યને હું વખોડું છું. રાજકોટમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી બાળકો સારવાર લેવા આવતા નથી. ત્યાં પણ બાળ મૃત્યુદર ઊંચો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે આરોગ્યની સેવાનું ખાનગીકરણ રોકવું જોઈએ.

(4:24 pm IST)