Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

૧૦ ટકા અનામતનો નિર્ણય ઐતિહાસિક : ભાજપનો મત

સમાજના તમામ વર્ગોની અપેક્ષાઓ પૂર્ણ થશે : કોંગ્રેસના ચાવવાના અને બતાડવાના દાંત જુદા છે જેથી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આવી જોગવાઈ નથી : ભાજપ

અમદાવાદ,તા.૭ : આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા બિનઅનામત વર્ગ માટે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રમાં અનામતની જાહેરાત કરવામાં આવી તેને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ પ્રદેશ ભાજપા સંગઠન વતી આવકારતા ઐતિહાસિક નિર્ણય ગણાવતા ઉપરોક્ત જાહેરાત માટે કેન્દ્રની એનડીએ-ભાજપા સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સમાજના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અધિકારોને અબાધિત રાખીને બિનઅનામત વર્ગ માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણમાં અનામતની જે જાહેરાત કરવામાં આવી તે ભાજપાની સમાજના તમામ વર્ગોની આશા- આકાંક્ષાઓને પૂર્ણ કરવાની પ્રજા કલ્યાણકારી રાજનીતિના પ્રતિઘોષ સમાન છે તેમ આઇકે જાડેજાએ જણાવ્યું હતું. સને ૨૦૧૪માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની કેન્દ્ર સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી એ જનધન યોજના હોય કે ઉજ્જવલા યોજના હોય, સ્ટાર્ટ અપ હોય કે સ્ટેન્ડ અપ યોજના હોય, પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના હોય કે ગરીબ વર્ગ માટે સૌભાગ્ય યોજના હોય - સમાજના તમામ વર્ગોને તેમના સામાજિક, આર્થિક ઉત્થાન માટે કોઈપણ પ્રકારના ભેદભાવ ભરી રાજનીતિ સિવાય ''સૌના સાથ, સૌના વિકાસ''ના મૂળમંત્રને કેન્દ્રવર્તી રાખીને ભાજપા સરકારે પ્રજાની સેવા કરવાની સકારાત્મક રાજનીતિ કરી છે અને આજની આ જાહેરાત તેના અનુસંધાનમાં જ બિનઅનામત વર્ગની આશા-આકાંક્ષાઓ આધારિત થયેલ છે અને પ્રદેશ ભાજપા સંગઠન આ ઐતિહાસિક નિર્ણય હદયપૂર્વક આવકારે છે. કેન્દ્ર સરકારના આજના આ ઐતિહાસિક નિર્ણયને અનુલક્ષીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આજના સમાજલક્ષી નિર્ણયને લોલીપોપ ગણાવતાં નિવેદનને વખોડતા આઇકે જાડેજાએ પરેશ ધાનાણીને કોંગ્રેસની ભૂતકાળની લોલીપોપની રાજનીતિની યાદ દેવડાવી હતી. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન ગુજરાતમાં નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને સમાજના વિવિધ વર્ગોને વિભાજીત કરવા માટે જુદી જુદી રીતે લોલીપોપ બતાડનાર કોંગ્રેસને ગુજરાતની શાણી પ્રજાએ તેનું મૂળ સ્થાન બતાવી દીધુ હતુ તેમ આઇકે જાડેજાએ જણાવ્યુ હતુ. કોંગ્રેસના ''ચાવવાનાં અને બતાડવાનાં'' જુદા છે, એટલે કોંગી શાસિત રાજ્યોમાં આવી જોગવાઇની ક્યારેય અમલવારી ન કરનાર કોંગ્રેસને આ નિર્ણયથી પેટમાં ચૂંકે તે સ્વભાવિક છે. ભૂતકાળમાં ભાજપાના શાસનમાં ૧૦ ટકા અનામતની બીનઅનામત વર્ગ માટે જ્યારે જોગવાઇ કરવામાં આવી ત્યારે આજ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. ૨૦ ટકા ઇબીસીની ગુલબાંગો પોકારતી ગુજરાત કોંગ્રેસે પ્રજાને એ વાતનો જવાબ આપવો જોઇએ કે એકપણ કોંગી શાસિત રાજ્યમાં તેણે બીનઅનામત વર્ગ માટે અનામતની જોગવાઇ કરી છે ખરી ? હકીકતમાં કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં છેલ્લા કેટલાય દિવસોથી ગડમથલ ચાલી રહી છે, કોંગ્રેસ સતત તૂટી રહી છે, કોંગ્રેસ સંગઠન નેતૃત્વ વિહિન છે અને ખૂદ કોંગ્રેસી કાર્યકરોને તેમના નેતૃત્વમાં વિશ્વાસ નથી તેવું અનેકવાર ગુજરાતની પ્રજાએ નજરે નિહાળ્યુ છે. આથી આજની આ ઐતિહાસિક જાહેરાત માટે કોઇ ટિપ્પણી કરવાને બદલે કોંગ્રેસ વિપક્ષ નેતા પોતાનું ઘર સંભાળે એ જ તેમના હિતમાં છે.

 

(8:46 pm IST)