Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આણંદ જિલ્લામાં કસ્બારા ગામની સીમમાં સર્જાયેલ બે જુદા જુદા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

આણંદ: જિલ્લામાં ગઈકાલે ખંભોળજ-સારસા રોડ અને તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર આવેલા કસ્બારા ગામની સીમમાં સાડા નવ કલાકની અંદર સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં બેના મોત થયા છે. આ અંગે ખંભોળજ અને તારાપુર પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખંભોળજ ખાતે રહેતા કનૈયાલાલ પુરોહિત ગઈકાલે પોતાનું એક્ટિવા નંબર જીજે-૨૩, એએસ-૮૧૮૩નું લઈને સારસા તરફ જતા હતા. દરમ્યાન દશેક વાગ્યાના સુમારે સુર્યનગર સોસાયટી સામે મંછાવડ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ડમ્ફર નંબર જીજે-૧૦, ટીટી-૬૬૭૭એ ટક્કર મારતાં કનૈયાલાલ પુરોહિતનું માથુ જ ફાટી જતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતુ. ટક્કર મારીને ડમ્ફરનો ચાલક ડમ્ફરને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ અંગે નિલેષકુમાર કનૈયાલાલ પુરોહિતની ફરિયાદને આધારે ડમ્ફરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:30 pm IST)