Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મોદી આજે સુરતમાં વિકાસ રેલી કરવા માટે પૂર્ણ સજ્જ

રૂપાણી, આનંદીબેન, સ્મૃતિ, સુષ્મા પણ પ્રચાર કરશેઃ ચૂંટણી પ્રચાર સમાપન પ્રસંગે સુરતમાં ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટી પડશે : જગદીશ ભાવસારએ દાવો કર્યો

અમદાવાદ, તા.૬, ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે આજે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાતમી ડિસેમ્બરના દિવસે આર્થિકનગર સુરતમાં ગુજરાત વિકાસ રેલીને સંબોધન કરશે.

સુરત મહાનગરમાં નિલગીરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે બપોરે એક વાગે ગુજરાત વિકાસ રેલી, નવમી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની યોજાનારી ચૂંટણીના પ્રચાર અભિયાનની મહત્વપૂર્ણ રેલી રહેશે. પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ સાંજે પાંચ વાગે પૂર્ણ થશે. ભાવસારે સુરત ખાતે યોજાનારી રેલીના સંદર્ભમાં વાત કરતા કહ્યું હતું કે, આ રેલીમાં ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટી પડશે અને ભાજપના વિજય રથને આગળ ધપાવવા સંકલ્પબદ્ધ થશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રથમ તબક્કાની ૮૯ બેઠક પર જીત મેળવવા માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોદી અપીલ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આવતીકાલે પણ ઝંઝાવતી પ્રચાર જારી રાખશે.

આવતીકાલે વિજય રૂપાણી, આનંદીબેન પટેલ, નરેશ કનોડિયા, સ્મૃતિ ઇરાની, સુષ્મા સ્વરાજ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ, પાલનપુર, કઠલાલ, સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સુરેન્દ્રનગરમાં ઝંઝાવતી પ્રચાર કરશે. આવતીકાલે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો અંત આવશે. બીજા તબક્કાના ચૂંટણીને લઇને રાજકીય ગરમી પ્રવર્તી રહી છે.

 

(10:15 pm IST)