Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મોદી હતાશામાં જ આરોપોની રાજનીતિ કરે છે : સુરજેવાલા

ગુજરાતમાં એસટીમાં રોજ ૧.૧૧ કરોડનો ફટકો : ભાજપના રાજમાં આર્થિક બિનકાર્યક્ષમતા અને કરોડોના ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની પરિવહન સેવા ખાડે ગઇ

અમદાવાદ,તા.૬ : ગુજરાતમાં ભાજપના શાસનમાં આર્થિક બિનકાર્યક્ષમતા અને કરોડોના ભ્રષ્ટાચારના કારણે રાજયની એસટી નિગમ પરિવહન સેવા ખાડે ગઇ છે. આજે સ્થિતિ એ છે કે, ગુજરાતમાં એસ.ટી પરિવહન સેવામાં પ્રતિદિન રૂ.૧ કરોડ, ૧૧લાખ, ૬૦હજાર, ૫૦૦નું નુકસાન થઇ રહ્યું છે. એટલે કે, પ્રતિ મિનિટ રૂ.૭૦૫૦નું જબરદસ્ત નુકસાન.. આ ગંભીર આરોપ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને સિનિય નેતા એવા રણદીપ સૂરજેવાલાએ લગાવ્યા હતા. સૂરજેવાલાએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધુ નિશાન સાધતાં જણાવ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપની હાર ભાળી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતાશામાં આરોપોની રાજનીતિ કરી રહ્યા છે પરંતુ તેનાથી કંઇ નહી વળે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જનતાની પોતાની સરકાર બનવાની છે. કારણ કે, લોકો હવે ભાજપ અને મોદીને ઓળખી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ ગુજરાતની પરિવહન સેવાને લઇને ભાજપના શાસન પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, ભાજપ તેના કુશાસનમાં પ્રજાને વીજળી, પાણી, સિંચાઇ, રસ્તા, પરિવહન સેવા જેવી મૂળભૂત સેવા આપવામાંથી પણ ચૂકી ગઇ છે. ઉલ્ટાનું તમામ ક્ષેત્રોમાં ખાનગીકરણ એ જાણે ભાજપની નીતિ બની ગઇ છે. તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, એક સુનિશ્ચિત આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા સંચાલિત રાજયની પરિવહન સેવામાં સો ટકાની કટૌતી કરી દેવામાં આવી છે એટલું જ નહી, પરંતુ હજારો કરોડની રકમ સબસીડી આપવામાં અને નુકસાની ભરપાઇ કરવામાં લગાવી દીધી. હવે આજે આ મુદ્દે  ગુજરાતની જનતા જવાબ માંગી રહી છે, ભાજપ જવાબ આપે.સૂરજેવાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૨ વર્ષો પછી પણ વધતી જરૂરિયાત અને બસોની સંખ્યાની ટ્રીપો વધવી જોઇએ તેના બદલે દુર્ભાગ્યવશ ભાજપના રાજમાં બસોની સંખ્યા પણ ઓછી થઇ અને ટ્રીપો પણ ઘટાડી દેવાઇ. ૧૯૯૪ સુધી કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ૧૮,૨૨૫ ગામડાઓ સુધી એસટી સેવા પહોચંતી હતી, જેની સામે આજે ભાજપના શાસનમાં માંડ ૯હજાર ગામડા સુધી પરિવહન સેવા પહોંચી રહી નથી. ગુજરાતમાં ભાજપના શાસનમાં આર્થિક બિનકાર્યક્ષમતા અને કરોડોના ભ્રષ્ટાચારના કારણે રાજયની એસટી નિગમ પરિવહન સેવા ખાડે ગઇ છે. આજે સ્થિતિ એ છે કે, ગુજરાતમાં એસ.ટી પરિવહન સેવામાં પ્રતિદિન રૂ.૧ કરોડ, ૧૧લાખ, ૬૦હજાર, ૫૦૦નું નુકસાન થઇ રહ્યું છે. એટલે કે, પ્રતિ મિનિટ રૂ.૭૦૫૦નું જબરદસ્ત નુકસાન થઇ રહ્યું છે. એસટીના કર્મચારીઓની સંખ્યા પણ ૫૫ હજારમાંથી ઘટીને ૪૦ હજાર થઇ ગઇ છે. આ બધી વાતોનો મોદીજી, અમિત શાહ અને વિજય રૂપાણી જવાબ આપે. ગુજરાતની જનતા જવાબ માંગી રહી છે.

 

(8:36 pm IST)