Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મ્યુનિસિપલ સ્કુલોમાં ૪ વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઓછા થયા

મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી : મ્યુનિસિપલ સ્કૂલોની હાલત, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા મામલે સરકાર તેમજ કોર્પોરેશન પગલા ભરે તેવી માંગણી

અમદાવાદ, તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત મ્યુનિસિપલ શાળાઓમાં છેલ્લાં કેટલાંય વર્ષથી કોઇ ઉચ્ચ પદાધિકારી તો છોડો, પરંતુ સામાન્ય કારકુનનો બાળક પણ ભણતો નથી તેનું કારણ સ્માર્ટ લર્નિંગના ઢોલ-નગારા વગાડી થઇ રહેલા દાવાઓ વચ્ચે મ્યુનિસિપલ શાળામાં શિક્ષણનું સતત કથળી રહેલું સ્તર છે. મ્યુનિસિપલ સ્કૂલોમાં બાળકોના શિક્ષણની કથળતી સ્થિતિ અને ઘટી રહેલા વિદ્યાર્થીઓની ચોંકાવનારી હકીકત એ છે કે, છેલ્લા ચાર વર્ષમાં શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં ૪૬ હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. આટલી ગંભીર અને ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં લઇને હવે અમ્યુકો અને રાજય સરકારના સત્તાવાળાઓ જાગે તો સારૂ અને આ ખરાબ પરિસ્થિતિના નિવારણ માટે હવે અસરકારક પગલા ભરે તેવી માંગણી રાજયના શિક્ષણવિદોમાં ઉઠવા પામી છે. મ્યુનિસિપલ શાળાઓમાં આજે પણ ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને સાદું ગુજરાતી પણ કડકડાટ બોલતાં કે લખતાં આવડતું નથી. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં ૪૬ હજારથી વધુ બાળકોનો ઘટાડો થયો છે. જોકે સત્તાવાળાઓ તો વિદ્યાર્થીઓની સતત ઘટતી જતી સંખ્યા માટેના કારણોમાં નાગરિકોની વધેલી આર્થિક સમૃદ્ધિને પણ ગણાવે છે. જૂન ર૦૧પમાં મ્યુનિસિપલ શાળામાં ૧.૪૮ લાખથી વધારે બાળકો ભણતા હતા તે શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાના ૪૪૯૮ બાળકોએ પ્રવેશ લેતા કુલ સંખ્યા ૧,પર,૭૭૪ થવી જોઇએ તેના બદલે ૧૧પ૦૮ બાળક ઘટીને ૧,૪૧,ર૬૬ બાળક નોંધાયા હતા. ત્યાર પછીના વર્ષમાં એટલે કે વર્ષ ર૦૧૬માં ૧૪,૭પ૯ બાળકોએ શાળા છોડી હતી. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના એક સભ્યએ જણાવ્યું હતું કે, જે મ્યુનિસિપલ શાળાઓમાં જૂન ર૦૧૭માં ૧,૩૧,૩પ૩ બાળકો ભણતા હતા તેની સંખ્યા ચાલુ વર્ષે જૂન ર૦૧૮માં માત્ર ૧,ર૪,૪૮૪ બાળકોની થવા પામી છે. જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળામાંથી કુલ પ૮૦૦ બાળકોએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો તેવો તંત્રનો દાવો છે પરંતુ ગત ઓક્ટોબર ર૦૧૮માં બાળકોની સંખ્યા ૧,ર૧,૮૮૮ની થઇ છે, જે ખરેખર ૧,૩૦,ર૮૪ બાળકો થવા જોઇએ. છેલ્લાં ચાર વર્ષમાં ખાનગી શાળામાં કુલ ૧૯,૯૩૧ બાળકોએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લીધો તેવા તંત્રના દાવા છતાં પણ આટલા જ સમયગાળામાં કુલ ૪૬,૩૧૯ બાળકોએ શાળા છોડી હોય તો તેનું એક એકમાત્ર કારણ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડમાં ચાલતી એક અથવા બીજા પ્રકારની ગેરરીતિ હોવાનો આક્ષેપ પણ આ સભ્યએ કર્યા છે. આ અંગે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનધિકારી એલ.ડી.દેસાઇને પૂછતાં તેમણે જણાવ્યું કે, નાગરિકોની વધેલી સમૃદ્ધિ, ગામડાઓમાં પણ નર્મદાનું પાણી મળતું થવાથી ત્યાં રોજી-રોટીના નવા અવસર પેદા થવા તેમજ ફેમિલી પ્લાનીંગના કારણે શાળામાં બાળકોની સંખ્યા ઘટી છે. એકલા અમદાવાદમાં જ નહીં, પરંતુ રાજ્યભરના શહેરી વિસ્તારોની શાળામાં આ ત્રણ કારણથી બાળકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.

(6:43 pm IST)