Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

પ૧ શક્તિપીઠમાંથી સૌથી મહત્વની શક્તિપીઠ પાકિસ્‍તાનના બલુચિસ્‍તાનના હિંગોળ નદીના કિનારે બિરાજમાન

અમદાવાદ: હાલ માતાના નોરતા ચાલુ છે. ત્યારે હિંગળાજ માતા વિશે પણ જાણીએ. હિંગળાજ દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, અને સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે ત્યારે ચાલો અતિપાવનકારી હિંગળાજ માતાના પવિત્રધામ જે શક્તિપીઠ પણ છે તેના દર્શન કરી ધન્યતા અનુભવીએ.

51 શક્તિપીઠમાંથી સૌથી મહત્વની શક્તિપીઠ પાકિસ્તાનમાં પણ છે. વાત છે હિંગળાજ ભવાની શક્તિપીઠની જે બલૂચિસ્તાનમાં હિંગોળ નદીના કિનારે આવેલા હિંગળાજ વિસ્તારમાં પણ છે. શક્તિપીઠને ધરતી પર માતાજીનું પહેલું સ્થાનક મનાય છે, જે પાકિસ્તાનમાં છે.હિંગળાજ માતાનું મંદિર, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલી હિંગળ નદીના કિનારે વસેલું છે. મંદિર મકરાન રણની ખેરધાર પહાડીઓની એક સિરીઝના અંતે આવેલો છે. મંદિર એક નાનકડી પ્રાકૃતિક ગુફામાં બનેલું છે. જ્યાં એક માટીની વેદી બનેલી છે. દેવીની કોઈ માનવ નિર્મિત મૂર્તી નથી. પરંતુ નાના આકારના શિલા અને હિંગળાજ માતાના રૂપમાં પૂજાય છે. હિંગળાજ મંદિર જે વિસ્તારમાં છે, જે પાકિસ્તાનના સૌથી મોટા હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં ગણાય છે.

જ્યારે દેવી સતીએ આત્મદાહ કર્યો ત્યારે ભગવાન શિવ તેમના શબને લઈ બ્રહ્માંડમાં ફરતા હતા અને તાંડવ કરતા હતા. શિવનો મોહભંગ કરવા માટે અને બ્રહ્માંડને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કરી લીધા. જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપઠ બની. માન્યતા છે કે હિંગળાજ શક્તિપીઠમાં દેવી સતીનું માથુ પડ્યું હતું. કહેવાય છે કે દરરોજ રાત્રે અહીં તમામ શક્તિઓ ભેગી થઈને રાસ લે છે અને દિવસે માતા હિંગળાજની અંદર સમાઈ જાય છે...એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોની પ્રથમ કુલદેવી હિંગળાજ માતા હતાં, જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ, ગીત, સ્તુતિ અવશ્ય મળી આવે છે. અનુયાયીઓ માં માન્યતા છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રીના સમયમાં રાસ રચાય છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં માં આવી જાય છે.

ફક્ત હિંદુ નહીં મુસલમાનોને પણ હિંગળાજ દેવીમાં આસ્થા છે અને મંદિરની સાર સંભાળ પણ રાખે છે. મંદિરને નાનીનું મંદિર પણ કહે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે અહીંના સ્થાનિક મુસ્લિમો તેને તીર્થયાત્રાનો ભાગ માને છે, સ્થાનિક મુસ્લિમાં મંદિર નાનીની હજ તરીકે જાણીતું છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે. 9 દિવસ સુધી દેશ-વિદેશમાં ભક્તજન અહીં માતાના દુર્લભ દર્શન કરવા પહોંચે છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ ફરક નથી રહેતો. મોટા ભાગે બલૂચિસ્તાન-સિંધના લોકો અહીં દર્શન કરવા આવે છે. હિંગળાજ માતાનો આરાધક વર્ગ માત્ર ચારણ સમાજ નથી. માતા માં શ્રધ્ધા રાખનારાઓ માં કણબી, લુવાણા, ક્ષત્રિય, બ્રાહ્મણ જેવા અનેક સમાજના લોકો શ્રધ્ધા ધરાવે છે.

(4:17 pm IST)