Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

નેશનલ હાઈવે નં-૮ના ખાડા દૂર કરવા NHAIને નોટિસ

અકસ્માતમાં મોત થાય તો ગુનો નોંધવા ચેતવણી : સાબરકાંઠામાં ૧૬મી ઓગસ્ટે હાઈવે ઉપર અકસ્માતમાં ત્રણના મોત થયા હતા : એસપીનો મર્દાનગી ભરેલો નિર્ણય

અમદાવાદ,તા. ૬ :  તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર ત્રણ વ્યકિતઓના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ)ને નોટિસ પાઠવીને તાત્કાલિક હાઇવેના બિસ્માર રોડ રિપેર કરવા તાકીદ કરી છે. એટલંુ જ નહી, એસપી તરફથી જો માર્ગ અકસ્માતમાં કોઈ નિર્દોષ નાગરિકનું મોત નીપજશે તો જવાબદાર અધિકારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા ચીમકી અપાઈ છે. જેને લઇ હવે સમગ્ર મામલો જોરદાર રીતે ગરમાયો છે. ખાસ કરીને એસપીના મર્દાનગીભર્યા વલણને લઇ ચોતરફ તેમની પ્રશંસા થઇ રહી છે. સાબરકાંઠા એસપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું હતું કે, સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં-૮ પર સીક્સ લેન કામગીરી ચાલી રહી છે. વરસાદને પગલે હાઈવે ધોવાઈ ગયો છે અને કપચીઓ ઉખડી જતા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે.

        સીક્સલેનની કામગીરીને પગલે અનેક જગ્યાએ ડાયર્વઝન આપતા રોડની બંને સાઈડો ખોદવામાં આવેલી હોવાથી રોડની કિનારી પરના પિલ્લરો એક લાઈનમાં ન હોવાથી અને કેટલીક જગ્યાએ આડા પડેલા પિલ્લરો પર રેડિયમ નહી હોવાથી રાત્રે ન દેખાતા અને કોઈ જગ્યાએ સાઇન બોર્ડ હોવાથી વાહન ચાલક ખાડા ટાળવા જતા સામે આવતા વાહન સાથે અથડાય છે કે ડિવાઈડર સાથે ટકરાય છે. જેથી ગંભીર અકસ્માત બનવાની શક્યતા રહે છે. એસપીની નોટિસમાં પ્રાંતિજ પોલીસની હદમાં તા.૧૬ ઓગસ્ટે બ્લુમ ડેકોર ફેક્ટરી સામેના અકસ્માતને ઉલ્લેખ કરાયો છે. ખાડાના કારણે જ અકસ્માતનો બનાવ થતા ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ નવી નક્કોર એસયુવીના ચાલકે દંડ ભરવાનો ઈન્કાર કર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. એનએચ-૮ દિલ્હી મુંબઈને જોડે છે. તેમાં મોટા ભારે વાહનોની અવરજવર રહેતા વ્યસ્ત રહે છે. પાડોશી રાજ્યમાંથી એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જવાતા હોય છે. ઉપરાંત વીવીઆઈપીઓની પણ અવરજવર રહે છે. તેથી ખાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

           ભારે ટ્રાફિકના કારણે અંત્યત વ્યસ્ત એવા એનએચ ૮ પર ખાડાના કારણે નાના-મોટા વાહનોને પંકચર તેમજ અન્ય નાનામોટા નુકસાન થવાથી ટ્રાફિકજામ થવાની સમસ્યા ન થાય તે માટે રોડ પરના ખાડાઓનું સમારકામ કરવા અને જ્યાં ડાયવર્જન આપેલા છે કે એક તરફી રોડ કરેલા છે. ત્યાં સાયનેજીસ બોર્ડ રાત્રે અને દિવસે સ્પષ્ટ દેખાય તે રીતે લગાડવા તેમજ રોડની કિનાર પરના તમામ પિલ્લર પર હાઈ ક્વોલિટીનું રેડિયમ લગાવવા વિનંતી કરી છે. એસપી દ્વારા એન.એચ.એ.આઈના પ્રોજેક્ટ ડિરેક્ટરને નોટિસ પાઠવીને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ કારણોસર ફેટલ અકસ્માતનો ગંભીર ગુનો નેશનલ હાઈવે ઓથોરિટીની નિષ્કાળજીને કારણે બનશે તો જવાબદાર વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૩૦૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવાની ફરજ પડશે. એસપીના નિર્ણયની હાલ પ્રશંસા થઈ રહી છે.

(9:25 pm IST)