Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વિરમગામના પુંજાભાઈ મારવાડી 24 વર્ષ થી રામદેવપીરના નોરતામા ફરાળમાં ખાય છે 500 ગ્રામ લીલા મરચા

માત્ર લીલા તીખાં મરચા ખાવા છતાં આજ સુધી મને કોઇ તકલીફ પડેલ નથી: રામદેવપીરની ભક્તિ એ જ મારી શક્તિ છે : પુંજાભાઈ મારવાડી

વિરમગામ:   કોઇ પણ વાર-તહેવારમા કે ઉપવાસની વાત આવે એટલે લોકો અલગ-અલગ ફરાળ આરોગતા હોય છે. તમે કોઇ વ્યક્તિએ ઉપવાસ દરમ્યાન માત્ર ફરાળમા તીખા લીલા મરચાં ખાતા નહીં જોયા હોય. પરંતુ અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં રામદેવ પીરના એક એવા પરમ ભક્ત છે જે ભાદરવા મહીનામાં આવતા રામદેવ પીરના નોરતા દરમિયાન ફરાળમા માત્ર લીલા તીખાં મરચા જ ખાય છે અને નવ દિવસ મરચા સિવાયનો કોઇ ખોરાક ગ્રહણ કરતા નથી.

   વિરમગામ શહેરના  હાથી તલાવડી વિસ્તારમા રહેતા  બાર બીજના ઘણી રામદેવપીરના પરમ ભક્ત પુંજાભાઈ મારવાડી પોતાના ઘરે બનાવેલ રામદેવપીરના મંદિરમાં છેલ્લા 24 વર્ષથી બારબીજના ઘણી નકળંગ નેજા ઘારી રામદેવ પીરની  સેવા પુજા-અર્ચના કરે છે. રામદેવ પીરના મંદિરે સવાર સાંજ થતી આરતીમાં અનેક ભક્તો ઉપસ્થિત રહે છે અને રામદેવ પીરનો પ્રસાદ ગ્રહણ કરે છે. 

    વિરમગામના રામદેવ પીરના ભક્ત પુંજાભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, હુ છેલ્લા 24 વર્ષ થી રામદેવપીર ની નવરાત્રી દરમિયાન નવ દિવસ કોઇપણ અનાજ કે કોઇ ફરાળ નહી લઇ ને  માત્ર ને માત્ર રોજના500 ગ્રામ તીખા લીલા મરચા ફરાળ તરીકે ખાવ છુ. ક્યારેક કોઇ ભક્ત વધુ મરચા લઇને આવે તો પણ આરોગુ છું. આ તીખા મરચા ખાવાથી મને કોઇ તકલીફ પડતી નથી. હું શેઠ એમ જે સ્કુલમા વોચમેન તરીકે નોકરી કરૂં છું. હુ પુંજાભાઇ મારવાડી નવરાત્રી દરમિયાન ઘરની બાજુમા બનાવવામાં આવેલ રામદેવપીરના મંદિરે અખંડ જ્યોતની સામે બેસીને ભક્તી કરું છું. માત્ર લીલા તીખાં મરચા ખાવા છતાં આજસુધી મને કોઇ તકલીફ પડેલ નથી. રામદેવપીરની ભક્તિ એ જ મારી શક્તિ છે. રામદેવપીરના આશિર્વાદના કારણે જ હું પ્રસાદ તરીકે મરચા ખાઇ શકુ છું.

(1:00 pm IST)