Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઇસનપુરમાં પાડોશી યુવક ૮ માસના બાળકને ઉઠાવી ગયો

બાળકની માતાની ઇસનપુર પોલીસમાં ફરિયાદ : પાડોશી યુવક કયા કારણોસર બાળકને અપહરણ કરીને લઇ ગયો તેને લઇ અનેક સવાલો : પોલીસની તપાસ શરૂ

અમદાવાદ, તા.૬: ઇસનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેતા એક યુવકે પાડોશમાં રહેતા આઠ માસના બાળકને ઉઠાવીને ફરાર થઈ જતાં પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઇસનપુર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેતી ૨૧ વર્ષીય અંજુ અશોકભાઇ સંઘવાલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને પગલે અપહ્યુત બાળકને છોડાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, પાડોશી યુવક કયા કારણસર આઠ માસના બાળકને અપહરણ કરી લઇ ગયો તેને લઇ અનેક સવાલો અને રહસ્યના તાણાવાણા સર્જાયા છે.  ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, અંજુ અને તેના પતિ અશોકભાઇ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અંજુનાં લગ્ન દોઢ વર્ષ પહેલાં થયાં હતાં, જેમાં તેમને એક બાળક રિયાનને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ અંજુ પતિ અશોકભાઇ અને પુત્ર રિયાન સાથે ઇસનપુર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેવા માટે આવી ગયાં હતાં. અંજુ જે મકાનમાં રહે છે તેની બાજુની રૂમમાં બાલમુકુંદ પરિહાર, સલાઉદ્દીન અને આલોક નામના યુવકો છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. આ પહેલા આ રૂમમાં બાલમુકુંદનો ભત્રીજો દીપક સાત મહિનાથી રહેતો હતો. ગઇકાલે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અશોકભાઇ નોકરી પર ગયા હતા બાદ ઘરમાં અંજુ અને આઠ માસનો પુત્ર રિયાન હાજર હતાં. અઢી વાગ્યાની આસપાસ અંજુ રિયાનને ખોળામાં લઇને બેઠી હતી તે સમયે બારીમાંથી બાલમુકુંદ અંજુને જોતો હતો. બાલમુકુંદની આ હરકત જોઇને અંજુ ઉશ્કેરાઇ હતી અને બાલમુકુંદને ધમકાવ્યો હતો અને છૂટ્ટું વેલણ માર્યું હતું. અંજુના ગુસ્સાને જોઇને બાલમુકુંદે તેની માફી માગી હતી અને રૂમમાં નહીં જોઉં તેમ કહીને બહાર જતો રહ્યો હતો. થોડાક સમય બાદ બાલમુકુંદ અંજુના ઘરે આવ્યો હતો અને દીદી મને ખાવા આપો મને ભૂખ લાગી છે તેમ કહ્યું હતું. અંજુએ રસોડામાંથી શાક રોટલી લાવીને બાલમુકુંદને આપ્યાં હતાં. જે લઇને તે તેના રૂમમાં જતો રહ્યો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રિયાનને ખાટલામાં સુવાડીને અંજુ નહાવા માટે જતી રહી હતી અને પડોશમાં રહેતી કવિતાબહેનને રિયાનનું ધ્યાન રાખવા માટેનું કહ્યું હતું. પંદર મિનિટ બાદ અંજુ બાથરૂમથી બહાર આવી ત્યારે ખાટલામાં રિયાન હતો નહીં, જેથી તેણે કવિતાબહેનને પૂછ્યું હતું. કવિતાબહેને અંજુને કહ્યું હતું કે બાલમુકુંદ રિયાનને રમાડવા માટે લઇ ગયો છે. અંજુએ બાલમુકુંદના રૂમમાં રહેતા સલાઉદ્દીનને પૂછ્યું તો તેને પણ બાલમુંકુદ રિયાનને લઇને જતો હોવાનું કહ્યું હતું. અંજુ અને પડોશમાં રહેતા લોકોએ બાલમુકુંદ રિયાનને લઇને આવી જશે તેવું વિચારીને તેની રાહ જોઇને બેઠા હતા. જોકે બાલમુકુંદ પરત નહીં આવતાં અંજુ અને તેના પડોશીઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. બાલમુકુંદ નહીં મળતાં અંજુએ તેના પતિ અશોકભાઇને ફોન કર્યો હતો, જોકે તે સમયે તેમનો ફોન પણ સ્વિચ ઓફ હતો. આખો દિવસ અંજુ અને પડોશીઓ બાલમુકુંદને શોધતા રહ્યા પરંતુ તેની કોઇ ભાળ મળી નહીં. મોડી રાતે અશોકભાઇ ઘરે આવતાં અંજુએ બાલમુકુંદ રિયાનને લઇને જતો રહ્યો છે તેમ કહ્યું હતું. અશોકભાઇ અને અંજુ મોડી રાતે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બાલમુકુંદ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતાં. ઇસનપુર પોલીસે બાલમુકુંદ વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.પટેલના જણાવ્યા અનુસાર બાલમુકુંદ ઉત્તરપ્રદેશનો વતની છે અને ત્રણ મહિના પહેલા અંજુની બાજુમાં રહેવા માટે આવ્યો હતો. ગઇકાલે અંજુએ તેને ધમકાવ્યો હતો. જેથી તેને રિયાનનું અપહરણ કર્યું છે. મોડી રાતે તેના ભત્રીજાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ અપહ્યુત બાળકને છોડાવવા અસરકારક પ્રયાસો હાથ ધરી રહી છે.

(9:56 pm IST)