Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

નડિયાદ: મહુધાની તોરણીયા ચોકડી નજીક બસની હડફેટે બે ઈસમનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ:તાલુકાના સોડપુર તથા મહુધા તાલુકાના તોરણીયા નજીક એસ.ટી.બસે ટક્કર મારતા બે ઈસમોનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના મહુડીયાપુરા સોડપુરમાં રહેતા હિતેષ ગીરીશભાઈ ઝાલા આજે સવારે સાયકલ લઈને સોડપુર બજારમાંથી પસાર રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલ નડિયાદ- હેરંજ એસ.ટી. બસ નં. જીજે-૧૮ ઝેડ- ૧૭ એ સાયકલને ટક્કર મારતા હિતેષને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી હિતેષ (ઉં.વ.૧૪) નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અક્સ્માત સર્જી બસનો ચાલક બસ લઈ નાસી ગયો હતો. બનાવ અંગે ગીરીશભાઈ ઉમેદભાઈ ઝાલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

અકસ્માતનો બીજો બનાવ મહુધા તાલુકાના તોરણીયા (અલીણા) નજીક સર્જાયો હતો. જેમાં પ્રતિકસિંહ દિલીપસિંહ પરમાર આજે સવારે મોટર સાયકલ નં. જીજે -૦૭ સીએન-૦૮૩૯ હંકારી અલીણા રોડ પરથી જઈ રહ્યો હતો. ત્યારે પૂરઝડપે આવેલ એસ.ટી.બસ નં. જીજે-૧૮ વાય ૧૮૧૩ એ તોરણીયા નજીક મોટર સાયકલને ટક્કર મારતા બાઈક ચાલક પ્રતિકસિંહ પરમાર (ઉં.વ.૨૨, રહે. સણાલી)નું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે મનહરસિંહ ભૂપતસિંહ પરમારની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(4:47 pm IST)