Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદ શ્રેય હોસ્‍પિટલમાં પ્રથમ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી માહિતીઃ થોડી જ મિનીટોમાં આખો આઇસીયુ વોર્ડ ઝપટે ચડી ગયોઃ નીતિનભાઇ પટેલ

અમદાવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આગ લાગવાનું કારણ જણાવ્યું હતું કે, પ્રથમ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવી માહિતી મળી છે. આગને જોઈને હોસ્પિટલમાં કાર્યરત એક કર્મચારી જે આઈસીયુના દર્દીઓની દેખરેખ રાખતા હતા. તેમણે પીપીઈ કીટ પહેરી હતી. તેઓ તાત્કાલિક ત્યા દોડીને પહોંચી ગયા હતા. કમનસીબે પીપીઈ કીટ પણ ઝડપથી આગના ઝપેટમાં આવી ગઈ હતી અને થોડી જ મિનીટમાં આખો આઈસીયુ વોર્ડ આગની જ્વાળામાં ફેલાઈ ગયો હતો. આ આગમાં કોરોનાના 8 દર્દીઓના ગૂંગળામણને કારણે મોત નિપજ્યા છે. તાત્કાલિક હદે કોરોનાના અન્ય દર્દીઓને કોર્પોરેશનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આગ પહેલા માત્ર આઈસીયુમાં લાગી હતી, પણ બીજા દર્દીઓને કંઈ ન થાય તે માટે તાત્કાલિક દર્દીઓને બીજે શિફ્ટ કર્યાં હતા. 

અમદાવાદના મેયર મીડિયાને જોઈ ભાગ્યા

તો બીજી તરફ, અમદાવાદના મેયર બીજલ પટેલ મીડિયાના સવાલોનો જવાબ આપવાથી ભાગ્યા હતા. તેઓ મીડિયા સામે મૃતકો માટે સાંત્વના પણ ના આપી શક્યા હતા. એક તરફ, પીએમ મોદી જ્યારે ઘટનાને લઈ સાંત્વના પાઠવી રહ્યા છે, પરંતુ મેયર કોઈ પણ વાત કર્યા વગર ત્યાંથી ભાગી નીકળ્યા. 

હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત

શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતની અટકાયત કરાઈ છે. તો સાથે જ હોસ્પિટલના મેનેજરની પણ અટકાયત કરાઈ છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન

તો ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર. પાટીલે અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ નિવેદન આપ્યું કે, પીએમ અને સીએમ દ્વારા આ અંગે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવશે. અમદાવાદને પગલે સુરતના તમામ હોસ્પિટલોમાં ફાયરની સુવિધા છે કે કેમ મેયર સાથે મળી જાણકારી આપીશું. સુરતની પણ તમામ હોસ્પિટલોમાં ફાયરની સુવિધા તત્કાલ અસરથી પૂરી પાડવા સજ્જ છીએ. અમદાવાદ હોસ્પિટલમાં બનેલી ઘટના આ અંગે તપાસ આપવામાં આવ્યા છે. મૃતકોને જે પણ આર્થિક સહાય આપવામાં આવી છે તે ઘટના સામે ઓછી છે.

વિપક્ષના આરોપ

ઘટના અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત શાહે કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પીટલની ઘટના અત્યંત દુખદ છે. ભગવાન મૃતકોને શાંતિ આપે અને તેમના પરિવાર જનોને દુખમાંથી ઉભરવાની શક્તિ આપે. ગુજરાતમાં વારંવાર આવા બનાવો કેમ બંને છે તે સૌને સવાલ છે. સ્કુલો, હોસ્પિટલ, મોલ, ક્લાસિસ વગેરેની મંજુરી પહેલાં કેમ તકેદારી લેવાતી નથી. ફાયર સેફ્ટીનો સમયે સમયે રિવ્યુ કરવાનો હોય છે. જોકે ભાજપાની સરકારમાં ભ્રષ્ટાચારના કારણે મિલીભગતના કારણે કોઇ તપાસ કરવામાં નથી આવતી. સુરતની ઘટના હોય કે અન્ય ઘટના, જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેની સરકારને કોઇ ચિંતા લાગતી નથી. લોકો કોરોનાથી બચવા સરકારી હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે. જોકે ત્યાં આવા બનાવો બને છે.આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇંએ અને માત્ર હોસ્પિટલ જ નહિ, પણ જે પણ કોઇ અધિકારી હોય તેની જવાબદારી નક્કી થવી જોઇંએ.

(5:19 pm IST)