Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોનાના દર્દીઓના બનતા બીલ સામે ગુજરાત અને કેન્‍દ્ર સરકાર દ્વારા અપાતી સહાયની રકમ ચણામમરા જેવી હોવાની ચર્ચા

અમદાવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 કોરોનાના દર્દી જીવતા ભૂંજાયા છે. ત્યારે મૃતકોના વારસદાર અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકના વારસદારને મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. તો પીએમઓ ઓફિસ તરફથી મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. ત્યારે સવાલ છે કે, જે રકમ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા જે રકમ જાહેર કરવામાં આવે છે, તે કોરોનાના દર્દીઓના બનતા બિલ સામે સાવ ચણામમરા જેવી છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનું બિલ લાખો રૂપિયામાં બનતું હોય છે. કોરોનાના દર્દીને હોસ્પિટલમાં રાખવાનો એક દિવસનો ચાર્જ જ હજારોમાં વસૂલાતો હોય છે અને જ્યારે દર્દી હોસ્પિટલ છોડીને જાય છે ત્યારે લાખોનું બિલ ચૂકવીને બહાર નીકળે છે. 

તો બીજી તરફ, સૌથી મોટી વાત તો એ છે કે, દર્દીઓના સ્વજનોને તો ખબર પણ નથી હોતી કે, તેઓ પોતાના સ્વજનોને જે હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છે ત્યાં સેફ્ટીના સાધનો નથી, ન તો આ હોસ્પિટલો પાસે એનઓસી છે. પ્રાપ્ત આંકડા અનુસાર, અમદાવાદની કુલ 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 હોસ્પિટલએ જ ફાયર વિભાગની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લીધું છે. એટલે કે આ સિવાલની હોસ્પિટલો પાસે આ સર્ટિફિકેટ જ નથી. તેમ છતાં એએમસી દ્વારા અનેક હોસ્પિટલોને કોવિડ 19 ની સારવાર માટે જાહેર કરાઈ છે.

કોરોનાનો એક દર્દીને ઓછામાં ઓછા ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. દર્દી પાસેથી એક દિવસના 9000, 18000 અને 21000 રૂપિયા લેખે ચાર્જ વસૂલાય છે. એટલે એવરેજ બિલ 5 લાખથી વધુ બનતુ હોય છે. એવા પણ દર્દીઓ છે જેઓને વધુ દિવસ સારવારની જરૂર પડે છે, તેવા કિસ્સામાં બિલ 10 લાખથી વધુ જતુ હોય છે. આવામાં દર્દીના પરિવારજનો માટે સરકારી સહાય તો ચણામમરા જેવી છે. મુખ્યમંત્રી દ્વારા સુરતના તક્ષશિલામાં 4 લાખની સહાય આપવામાં આવી હતી. ત્યારે સવાલ એ છે કે, આ રૂપિયાના બદલામાં શું જીવ પાછો મળી શકે છે. શ્રેય હોસ્પિટલની આગમાં હોમાયેલા દર્દીઓના સ્વજનો એક જ માંગ કરી રહ્યા છે કે, અમારા સ્વજનો પાછા લાવી દો.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ પાસેથી NOC મામલે જવાબ માગવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની નાની મોટી કુલ 2000 જેટલી હોસ્પિટલો પૈકી માત્ર મોટી સરકારી હોસ્પિટલો પાસે જ NOC છે. આ સિવાય 89 નાની હોસ્પિટલો પાસે NOC ન હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલના બાંધકામ અને તેની શરતોને આધીન NOC આપવામાં આવે છે. ફાયર વિભાગે અમદાવાદની કેટલી હોસ્પિટલમાં ફાયરની સુવિધા અંગે તપાસ કરી હતી તે અંગે પણ ખુલાસો માગવામાં આવ્યો  છે. છેલ્લા પાંચ મહિનામાં ફાયર વિભાગે કરેલી તપાસ અંગે અહેવાલ માગવામાં આવ્યો છે.

(5:18 pm IST)