Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજ્યમાં રજીસ્ટ્રર્ડ બે લાખ જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ-ફેરી વાળા-પાથરણાવાળા નાના લોકોને પૂન: બેઠા કરવા લોન-સહાયનું દાયિત્વ બેન્કો નિભાવે:મુખ્યમંત્રી રૂપાણી

નેશનલાઇઝડ બેન્કસને સક્રિય સહભાગી થવા મુખ્યમંત્રીનો અનુરોધ:સહકારી બેન્કીંગ ક્ષેત્ર - નેશનલાઇઝડ બેન્કસના પદાધિકારીઓ- અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી લાભાર્થીઓને લોન-સહાયની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરતા વિજયભાઇ રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર સહાય યોજનાઓમાં રાષ્ટ્રીયકૃત બેન્કોને સક્રિયતાથી સહભાગી થવા અનુરોધ કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે નાના વેપારીઓ-ધંધો રોજગાર કરનારા લોકોને માત્ર બે ટકા વાર્ષિક વ્યાજે રૂ. ૧ થી ર.પ૦ લાખની લોન આપવા નાગરિક સહકારી બેન્કો, જિલ્લા મધ્યસ્થ બેન્કો અને શરાફી સહકારી મંડળીઓની ભાગીદારીથી આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરેલું છે તેમાં વધુ લાભાર્થીઓને સાંકળી લેવાય તે હેતુસર નેશનલાઇઝડ બેન્કો પણ કોઇ નક્કર કાર્યયોજના સાથે જોડાય.
  મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં રાજ્યની નાગરિક સહકારી બેન્કો, જિલ્લા મધ્યસ્થ બેન્કો, નેશનલાઇઝડ બેન્કોના વરિષ્ઠ અધિકારી, પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
 મુખ્યમંત્રીએ કહ્યું કે, માત્ર નાના વેપારીઓ-ધંધો રોજગાર કરનારાઓ જ નહિ, બે લાખ જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ-પાથરણા-ફેરી કરનારા નાના અને રોજનું કમાઇને રોજ ખાનારા લોકોને લોન મળી રહે અને તેઓ ફરી બેઠા થઇ જીવનનિર્વાહ કરી શકે તે માટે પણ બેન્કોએ ભારત સરકારની આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજનામાં લોન સહાય માટે તત્પરતા દર્શાવી આગળ આવવું જોઇએ. તેમણે રાજ્યમાં ૩પ લાખ જેટલા MSME એકમોને પણ સરળતાએ મૂડી-લોન સહાય મળે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચવ્યું હતું.
  મુખ્યમંત્રીએ કહ્યું કે, આ રાજ્ય સરકાર નાના-વંચિત વર્ગો નાના વેપારી-રોજગારકારોને પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા સહાય આપીને પ્રસિદ્ધિ મેળવનારી નથી.‘‘આપણે તો આવા નાના વેપારી-ધંધો વ્યવસાયકારોની આંગળી પકડી બેઠા કરવા રૂ. ૧ લાખથી ર.પ૦ લાખની લોન આપીને તેમને પૂન: પ્રસ્થાપિત કરવા છે’’ એમ તેમણે ઉમેર્યુ હતું.
  વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નાગરિક સહકારી બેન્કો, જિલ્લા બેન્કો અને શરાફી સહકારી મંડળીઓ મળીને ૩૪૭ જેટલી સંસ્થાઓએ પ૬ હજાર લાભાર્થીઓને રૂ. પ૭૦ કરોડની સહાય આપી છે. તેનો વ્યાપ વધુ લાભાર્થીઓ સુધી વિસ્તારવા સહકારી બેન્કોને એગ્રેસીવલી કાર્યરત થવા અનુરોધ કર્યો હતો.
  આ સમીક્ષા બેઠકમાં અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મામા, સહકારી બેન્કીંગ ક્ષેત્રના અગ્રણી અજયભાઇ પટેલ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, નાણાંના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ તેમજ સહકાર સચિવ મનિષ ભારદ્વાજ, સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને લીડ બેન્કના ડી.જી.એમ.ઓ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ જિલ્લા મથકોએથી નાગરિક બેન્કો તથા જિલ્લા મધ્યસ્થ બેન્કોના પદાધિકારીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

(9:29 pm IST)