Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કરજણ તાલુકાના નેશનલ હાઇવે પર રોડની બાજુમાં ટ્રકનું ટાયર બદલી રહેલ ચાલકને પુરપાટ ઝડપે જતા ટ્રેલરે હડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

કરજણ  : કરજણ તાલુકાના નેશનલ હાઇવે નં.૪૮ ઉપર સાંસરોદ ગામ પાસેના રોડની બાજુમાં ટ્રકનું ટાયર બદલી રહેલાં ટ્રક ચાલકને પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે અથાડી દેતા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નિપજ્યુ હતુ.જ્યારે એક  વ્યક્તિને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાઇ છે.

દહેઝથી માટી ભરી ઇન્દોર જવા માટે ટ્રક લઈ ચાલક મોહનલાલ દલ્લાજી વણઝારા અને તેની સાથે બીજો ટ્રક ચાલક નરેન્દ્ર અજીતસિંહ રાજપૂત અને મોહનલાલનો છોકરો શંભુ વણઝારા નીકળ્યા હતાં.તે દરમિયાન ગત તા.૪ ના રોજ ભરૂચથી વડોદરા તરફની ટ્રેક ઉપર કરજણ તાલુકાના સાંસરોદ ગામ નજીક આવતાં અચાનક ટ્રકનું ટાયર ફાટી જવાથી રોડની સાઈડમાં ટ્રક ઊભી કરી દીધી હતી.તે બાદ નરેન્દ્ર રાજપૂત અને શંભુ વણઝારા ટ્રકના ફાટી ગયેલા ટાયર બદલી નવું ટાયર નાખવાની કામગીરી કરી રહ્યા હતાં.તે દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેલરના ચાલકે ધડાકાભેર ટ્રકમાં અથાડી અકસ્માત કર્યો હતો.

જેથી ટાયર બદલી રહેલા નરેન્દ્ર રાજપૂતને માથામાં અને પેટના ભાગે જ્યારે શંભુ વણઝારને માથામાં અને પગમાં  જીવલેણ ઈજા થતાં એમ્બ્યુલન્સની મદદથી પાલેજ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં  આવ્યા હતાં.દવાખાનામાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ટ્રકના બીજો ચાલક નરેન્દ્ર રાજપૂતને મરણ જાહેર કર્યો હતો.

(4:54 pm IST)