Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વિવિધ માંગણીઓ મુદ્દે કાલે અમદાવાદમાં 2 લાખ રીક્ષાચાલકોની હડતાલઃ આપ અને કોંગ્રેસ સહિત જુદા-જુદા રાજકીય પક્ષોનું સમર્થનઃ લોકડાઉનમાં સહાય આપવા માંગણી

અમદાવાદ: દેશભરમાં કોરોના સંકમણના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના ધંધા રોજગાર પર ભારે અસર પડી છે. જેના લીધે રાજ્યમાં આત્મહત્યા અને ડિપ્રેશનની સમસ્યામાં વધારો થયો છે. નાના રોજગાર ધંધા મોટી અસર પડતા સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે લોન અપાશે. જેમાં સરકાર દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવાશે. જ્યારે ગ્રાહકને માત્ર 2 ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. સાથે જ 6 મહિના બાદ લોનના EMI શરૂ થશે.

ત્યારે અમદાવાદના રીક્ષાચાલકોએ પોતાની વિવિધ માંગ સાથે આવતીકાલે સ્વંયભૂ પાળી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત 10 જેટલા રીક્ષા યુનિયનો આ હડતાલને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 8 થી 10 લાખ રીક્ષાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક તંગીના કરણે 3 જેટલા રીક્ષા ચાલકોએ  આત્મહત્યા કરી છે.

આ અંગે રીક્ષાચાલક સ્વાભિમાન અધિકાર આંદોલનના અગ્રણી અશોક પંજાબીએ જણાવ્યું હતુ કે મંગળવારે અમદાવાદ શહેરના 2 લાખ 20 હજાર ઓટો રીક્ષાચાલકો પોતાની માંગણીઓને લઈને એક દિવસની હડતાલ પર ઉતરશે. રાજય સરકાર એક મહિનાના 5 હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના 15 હજાર રૂપિયા આર્થિક સહાય કરે તેવી માંગણી છે.

રીક્ષાચાલકોને સરળ નિયમોને આધિન લોન મળી રહે તથા એક સત્રની તેમના બાળકોની ફી માફ કરવામાં આવે તથા વીજબીલમાં રાહત અપાય તેવી તમામ માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લગભગ ૧ર યુનિયનોના આગેવાનો મળ્યા હતા. 7 જુલાઈના રોજ એક દીવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં કોઇ નિર્ણય લેવાયો ન હોવાથી ઓટો રીક્ષા યુનિયનના આગેવાનોએ 7 જુલાઈના રોજ એક દિવસીય ઓટો રીક્ષાની હડતાલનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ઓટો રીક્ષા ચાલકોની માંગણીનો સ્વીકાર નહી થાય તો વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.

10મી જુલાઈના રોજ જી.એમ.ડી.સી ખાતે સભાના આયોજનની વિચારણા ચાલી રહી છે. તેવી જ રીતે જરૂર પડે સમગ્ર ગુજરાતમાં ઓટો રીક્ષાની હડતાલ અને જેલભરોના કાર્યક્રમોની રૂપરેખા આગામી દિવસોમાં ઘડી કાઢવામાં આવશે.

(5:52 pm IST)