Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પોસ્ટ ઓફિસે વિમા પોલિસીની માહિતી નહિ આપતા અધિકારીને 25,000નો દંડ ફટકાર્યો

આરટીઆઈ હેઠળ વલસાડના કમલાબેન પટેલે પુત્રનું અવસાન થતા વીમા પોલિસીની માહિતી માંગી હતી

 

આરટીઆઈ  હેઠળ પોસ્ટ વિભાગે માહિતી નહીં અપાતા અધિકારીને 25 હજારનો દંડ ફટકારાયો છે માહિતી અધિકારના કાયદા હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ (વલસાડ)નાં જાહેર માહિતી અધિકારીએ વિમાની પોલિસી વિશેની માહિતી સમયસર ન આપતા, કેન્દ્રિય માહિતી આયોગે જાહેર માહિતી અધિકારીને 25,000નો દંડ ફટકાર્યો છે.આ કેસમા કમલાબેન વાસણભાઇ પટેલ દ્વારા પોસ્ટલ વિભાગ પાસે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગવામાં આવી હતી. આ માટે તેમણે 25 નવેમ્બર (2016)ના રોજ માહિતી માંગતી અરજી કરી હતી. તેમના દિકરા ચેતન પટેલનું આકસ્મિક અવસાન થતા પોસ્ટ વિભાગમાં તેના વિમાની પોલિસી અંગે વિગતો માંગી હતી.

 જો કે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના જાહેર માહિતી અધિકારીએ કમલાબેન પટેલે માંગેલી માહિતી આપી નહોતી અને આ માહિતી શા માટે નથી આપવામાં આવી તેના કારણો પણ આપ્યા નહોતાં. આ પછી અરજદારે માહિતી મેળવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પ્રથમ અપીલ અધિકારીને અરજી કરી હતી પણ અપીલ અધિકારીએ માહિતી આપી નહોતી. આથી નારાજ થઇ, કમલાબેન પટેલે કેન્દ્રિય માહિતી આયોગમાં બીજી અપીલ દાખલ કરી હતી.

 કેન્દ્રિય માહિતી આયોગે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના અધિકારીઓની દલીલ સાંભળી અને 27 જુનના રોજ આ કેસમાં મહત્વનો ચૂકાદા આપ્યો. કેન્દ્રિય માહિતી આયોગે તત્કાલિન જાહેર માહિતી અધિકારી વાય.એમ. વોહરાને અરજદારને યોગ્ય સમયે માહિતી પુરી ન પાડવા બદલ રૂ 25,000નો દંડ ફટકાર્યો.

  કેન્દ્રિય માહિતી કમિશ્નર એમ. શ્રીધર આચાર્યુલુએ તેમના ચુકાદામાં નોંધ્યુ કે, સરકારી કચેરીઓમાં છૂપાયેલી માહિતી જાહેરમાં આવે અને એ દ્વારા વહીવટીતંત્ર લોકોને જવાબદાદ બને એ માટેની ચળવળના પરિણામે માહિતી અધિકારનો કાયદો અમલમાં આવ્યો છે. પોસ્ટ ઓફિસ લોકોને જાહેર પ્રવૃતિઓ જેવી કે નાની બચત યોજનાઓ, પોસ્ટલ ઇન્શ્યોરન્સ પોલિસીઓ, ઇન્વેસ્ટમેન્ટ જેવી કોમર્શિયલ પ્રવૃતિઓ કરે છે. આ મામલે જાહેર જનતાના તેઓ (પોસ્ટ ઓફિસ) ટ્રસ્ટી છે અને લોકસેવક છે.આ સિવાય, માહિતી અધિકારનો કાયદોએ તેમને લોકો પ્રત્યે જવાબદાર બનાવ્યા છે. તેમણે લોકોને જવાબ આપવાનો રહે છે.  

  આવા કિસ્સાઓમાં જાહેર માહિતી અધિકારીએ અરજદાર (ઇન્વેસ્ટર) પ્રત્યે એક ગુડ સર્વિસ પ્રોઇડર તરીકે જવાબદાર બની સારો વ્યવહાર કરવાનો હોય છે પણ આ કિસ્સામાં પોલિસી હોલ્ડર (પોલિસી ધારક)ના મૃત્યુ પછી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટને ઇન્શ્યોરન્સ પોલિસીનું સેટલમેન્ટ કરતા ત્રણ વર્ષ લાગ્યાં. આ એક દ્રષ્ટિએ ગ્રાહક માટે ખૂબ ખરાબ સેવા કહેવાય. આ કિસ્સામાં, પોલિસી હોલ્ડરા પિતા પોસ્ટ ઓફિસની બેદરકારીના પિડીત છે. આ એક ગંભીર બાબત ગણાય. પોસ્ટ વિભાગમાં બ્રાન્ચના વડા તરીકે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટની એ કાયદાકીય અને નૈતિક જવાબદારી બને છે કે, મૃતકના પિતાએ જે ઇન્શ્યોરન્સ પોલિસીમાં પૈસા રોક્યા છે તેનુ સમયસર સેટલમેન્ટ થાય અને જો ત્રણ વર્ષ જેટલો સમય લાગે, તો આ મોડુ થવા બદલ તેના તાર્કિક કારણો જણાવે.

કેન્દ્રિય માહિતી આયોગે એ નોંધ્યુ કે, જાહેર માહિતી અધિકારીએ જાણી જોઇને અરજદારને યોગ્ય સમયે માહિતી આપી નથી એવુ સ્પષ્ટ જણાય છે અને અરજદારને માહિતી આપવામાં નિષ્ફળ ગયા છે. એટલુ જ નહીં, પણ જાહરે માહિતી અધિકારીએ પોતે જે માહિતી નથી આપી તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. હિંન્દુ સસ્કેશન એક્ટ-1956 મુજબ પુત્રના મૃત્યુ પછી તેના મા-બાપ તેની સંપતિના વારસ છે. એટલા માટે, પુત્રના મૃત્યુ પછી તેની ઇન્શ્યોરન્સ પોલિસીના લાભો વિશે જાણવાનો તેમને અધિકાર છે. અરદારે જે માહિતી માંગી છે એ માહિતી અધિકારના કાયદાની કોઇ પણ જોગવાઇઓ પ્રમાણે ન આપી શકાય’ (એકઝમ્ટેડ) એ કેટેગરીમાં નથી. આથી, આયોગ જાહેર માહિતી અધિકારી (વાય.એમ. વોહરા)ને રૂ 25,000નો દંડ કરે છે. આ દંડ તેમના પગારમાંથી કાપી લેવામાં આવે”.

(12:46 am IST)