Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કપડવંજના રતનપુરામાં ફરિયાદની રીસ રાખી વિધવાને લાકડીથી માર મારતા પોલીસ ફરિયાદ

કપડવંજ: તાલુકાના રતનપુરામાં રહેતી વિધવાને અદાવત રાખી લાકડીની ઝાપોટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના રતનપુરા તાબે દંતાલીમાં રાઠોડ પરિવાર રહે છે. ગઈકાલે સાંજે પડોશમાં રહેતા કનુભાઈ મંગળભાઈ રાઠોડે દારૂ પીને રૂખીબેન ભેમાભાઈ રાઠોડ વિધવાના ઘર આગળ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી વિધવાએ ગાળો બોલવાની ના પાડતા કનુભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કહેવા લાગેલ કે અગાઉ મારા ઉપર ફરિયાદ કરી જેલમાં કેમ પૂરાવ્યો હતો. તેમ કહી રૂખીબેનને ડાબા હાથના કાંડા ઉપર લાકડીની ઝાપોટ મારતા વિધવાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી પુત્રવધૂ ગાયત્રીબેન આવી જતા કનુભાઈ મંગળ રાઠોડ ભાગ્યો હતો અને જતા જતા કહેલ કે આજે તો તું બચી ગઈ છે પરંતુ બીજી વખત ક્યાં જવાની છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે રૂખીબેન ભેમાભાઈ રાઠોડની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે કનુભાઈ મંગળભાઈ રાઠોડ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:16 pm IST)