Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડોદરાના ઊમેટાના રિસપોર્ટમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્યો ઉપર આઇબીની નજરઃ જવાનો મુકાયા

વડોદરા: રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ ચિંતિત બની છે. તેથી મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને કોંગ્રેસે ઉમેટાના રિસોર્ટમાં ભેગા કર્યાં છે. ઉમેટાના એરિસ ફાર્મમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભેગા કરવામાં આવ્યા છે. 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હવે તૂટે ના તેનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એરિસ રિસોર્ટના 35 નંબરના બંગલામાં રોકાયા છે. દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા છે. ભરતસિંહ સોલંકીને તમામ ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે. અહીં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને તૂટતાં બચાવવા કોંગ્રેસ રણનીતિ કરી રહી છે.

આઈબીની નજર

મધ્ય ગુજરાતના ધારાસભ્યો ઉમેટા રિસોર્ટમાં રોકવાના કેસમાં હાલ ધારાસભ્યો પર નજર રાખવામાં આવી રહી છે. ધારાસભ્યો પર આઈબીના જવાનો વોચ રાખવા માટે મૂકાયા છે. ગઈકાલ રાતથી આઈબીના જવાનો નજર રાખી રહ્યા છે. આઈબી સહિત પોલીસ જવાનો પણ સિવિલ ડ્રેસમાં નજર રાખી રહ્યા છે. ધારાસભ્યોને મળવા આવનારની પળેપળની માહિતી રાખી રહ્યાં છે.

ઉમેટાના એરિસ રિસોર્ટમાં કુલ 12 ધારાસભ્યો હાજર

૧) જશપાલસિંહ પઢીયાર - પાદરા

૨) વજુ પણદા - દાહોદ

૩) ચંદ્રિકા બારીયા - ગરબાડા

૪) ભાવેશ કટારા - ઝાલોદ

૫) અજીત ચૌહાણ - બાલાસિનોર

૬) નિરંજન પટેલ - પેટલાદ

૭) રાજેન્દ્ર પરમાર - બોરસદ

૮) પૂનમ પરમાર - સોજીત્રા

૯) કાંતિ સોઢા પરમાર - આણંદ

૧૦) કાંતિ સાભાઈ પરમાર - ઠાસરા

૧૧) ઇન્દ્રજીત ઠાકોર- મહુધા

૧૨) કાળુ ડાભી - કપડવંજ

ઉમેટા રિસોર્ટમાં ધારાસભ્યો રોકાતા કોંગ્રેસ નેતાઓની ચહલ પહલ વધી છે. શિક્ષણ સમિતિના ચેરમેન બાદ આણંદ જીલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિહ મહિડા પણ એરીસ રિસોર્ટમાં પહોંચ્યા છે. ગઈકાલે પણ તેઓ રિસોર્ટ પર હાજર હતા. ત્યારે રહેણાંક વિસ્તારમાં ધારાસભ્યો રોકાતા લોકોમાં પણ આશ્ચર્ય છવાયું છે. પાદરાના કોંગ્રેસ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ રિસોર્ટમાં પહોંચ્યા છે. અક્ષય પટેલની જેમ જસપાલ સિંહ પણ કોંગ્રેસ છોડશે તેવી અફવા ઉડી હતી. મધ્ય ગુજરાતના જે ધારાસભ્યો નથી આવ્યા તે પણ બપોર સુધી રિસોર્ટ પર પહોંચશે તેવુ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.

બેઠક મુદ્દે બોરસદના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને લઈને મોટું નિવેદન આપ્યું કે, આણંદ, વડોદરા અને ખેડાના 9 ધારાસભ્યો ઉમેટાના એરિસ રિપોર્ટમાં છે. તમામ ધારાસભ્યો એકજૂથ છે. 9 ધારાસભ્યોમાંથી એકપણ ધારાસભ્ય ભાજપમાં નહિ જાય. જે ધારાસભ્યો એ ગદ્દારી કરી છે તેમને જનતા મતથી મારશે.

(4:46 pm IST)