Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મહેસાણા-વિજાપુર હાઈવે પર વસાઈની રેલવે ફાટકને પહોળી કરાઈ :વાહન ચાલકોને રાહત

જોખમકારક બનેલા રેલવે ફાટકને આખરે પહોળો કરાયો

મહેસાણા-વિજાપુર હાઈવે ઉપર આવેલ વસાઈ નજીક અત્યંત જોખમકારક બનેલા રેલવે ફાટકને આખરે પહોળો કરવામાં આવ્યો છે. બે દિવસથી રેલવે તંત્ર અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૃ કરવામાં આવી છે. ફાટક પહોળો થતાં વાહન ચાલકો એ રાહતનો દમ ખેંચ્યો છે.

મહેસાણા-હિંમતનગર રોડને કરોડોના ખર્ચ ેફોરલેન હાઈવે બનાવાયો છે. જેના લીધે આ રોડ પર રાતદિવસ વાહનવ્યવહાર ધમધમી રહ્યો છે. જોકે આ રોડ ઉપર વસાઈ ગામ નજીક આવેલા રેલવે ફાટકને પહોળો કરવામાં ન આવતાં તે અકસ્માત જોન બની ગયો હતો.

સમયાંતરે આ રેલ ફાટક ઉપર નાનામોટા અકસ્માતો સર્જાયા હતા. જેમાં ચાર જેટલા વ્યક્તિઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. જ્યારે અનેક વાહનોને નુકસાન વેઠવું પડયું છે. વસાઈ રેલવે ફાટકન ેપહોળો કરવા અનેકવાર માંગણીઓ કરવામાં આવી હતી. જ્યારે સમાચાર માધ્યમમાં પણ અહેવાલો પ્રસિધ્ધ થયા હતા.

આ અગાઉ વસાઈ રેલવે ફાટક પહોળો કરવાના ભાગરૃપે આ રોડ પરથી પસાર થતા તમામ વાહનોને ત્રણ દિવસ માટે વાયા કુકરવાડા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ રેલવેના નઘરોળ તંત્રએ વસાઈ રેલવે ફાટક પહોળો કરવાની તસ્દી લીધી ન હતી અને અહીં અકસ્માતોની વણઝાર વણથંભી રહેવા પામી હતી.

જોકે મોડે મોડે પણ હવે રેલવે તંત્રએ વસાઈ રેલ ફાટકને પહોળો કરવાની કામગીરી શરૃ કરી છે. જુની ફાટકને કાઢી નાખવામાં આવી છે અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું લેવલીંગ કરવાનું કામ આરંભાયું છે. આ ફાટક પહોળી કરવામાં આવતા વિશેષ કરીને રાત્રીના સુમાર ેવાહન વ્યવહારને કનડતી સમસ્યા અને જોખમ દુર થશે.

(8:57 pm IST)