Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની કોવિડ 19 હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી., તપાસણી અને જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરાઇ

રાજ્યની 1350 ઉપરાંત કોવિડ હોસ્પિટલોની ફાયર પોઇન્ટ ઓફ વ્યૂથી ચકાસણી શરૂ :ગુજરાતની આગવી પહેલ રૂપ ફાયર સેફ્ટી ઓફિસરની પ્રથમ બેચના 133 એફ.એસ.ઓ. તાલીમ મેળવી ફાયર ઇક્વિપમેન્ટ્સ ચેકિંગ અને એન.ઓ.સી. આપશે: રાજ્યની હોસ્પિટલોમાં મોક ફાયર ડ્રીલ યોજવા અને હોસ્પિટલના સ્ટાફને ફાયર ફાયટિંગ સાધનોના ઉપયોગની તાલીમ પણ સમય બદ્ધ રીતે મળે તે માટે મુખ્યમંત્રીનું સૂચન

અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણ સ્થિતિ અને તેના નિવારણ માટેના ઉપાયો-પગલાઓની નિયમિત સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યોની કોવિડ-19 હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી., તપાસણી અને જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો અંગે ચર્ચા વિચારણા હાથ ઘરવામાં આવી હતી.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોમાં કોવિડ હોસ્ટિપલની ફાયર પોઇન્ટ ઓફ વ્યૂથી ચકાસણી શરૂ કરવામાં આવી છે અને આવી 1350 ઉપરાંત હોસ્પિટલોની તપાસ ગયા એક સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ફાયર સેફ્ટી- અગ્નિ શમનના અધિકારીઓને કોરોના સંક્રમણની આ સ્થિતિમાં રાજ્યની હોસ્પિટલોમાં આગની આકસ્મિક ઘટનાઓ બને તો તેની સામે તકેદારીના પગલા તથા લેવાની થતી કાળજી અને બચાવ રાહત કામગીરી માટે મોક ફાયર ડ્રીલ યોજવા અને હોસ્પિટલના સ્ટાફને ફાયર ફાયટિંગ સાધનોના ઉપયોગની તાલીમ પણ સમય બદ્ધ રીતે મળે તે માટે સુચન કર્યું હતું.
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મુખ્ય સચિવ અનિલ મુકિમ, અધિક મુખ્ય સચિવઓ પંકજકુમાર, ડો.રાજીવકુમાર ગુપ્તા, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવી, તેમજ વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો સંદર્ભમાં ચર્ચા વિચારણા દરમ્યાન જણાવ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ) પસાર કર્યો છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, ગુજરાતે ફાયર સેફ્ટી અંગેની આગવી પહેલ કરીને રાજ્યના યુવા-ઇજનેરોને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે તાલીમ અને નોંધણીની વ્યવસ્થા વિકાસવીને જુદી-જુદી કેટેગરીના બિલ્ડિંગ્સને આવા એફ.એસ.ઓ(FSO) ઇન્સપેક્શન બાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂ કરી શકે તેવી પારદર્શી પદ્ધતિ ઊભી કરી છે.
આ અંતર્ગત રાજ્યમાં એફ.એસ.ઓ(FSO) જનરલ કેટેગરીમાં 88, એફ.એસ.ઓ એડવાન્સમાં 19 અને એફ.એસ.ઓ સ્પેશિયાલિટીમાં 26 એમ પ્રથમ બેચમાં કુલ 133 જેટલા એફ.એસ.ઓ. નોંધાયા છે તેમને ફાયર ઇક્વિપમેન્ટ્સની ચકાસણી, એન.ઓ.સી. અને મોક ડ્રીલ માટે તાલીમ આપવા પણ સજ્જ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, ક્રિટ્રિકલ મેડિકલ ઇક્વીપમેન્ટ્સ એક્સપાયરી ડેટ પછી ન વાપરવા તેમજ અગત્યના મેડિકલ ઇક્વીપમેન્ટ્સ કે જે વીજપુરવઠાનો ઉપયોગ કરતા હોય તેને આંતરીક સર્કીટમાં ઓવર હિટીંગને રોકવા માટે ફેરફાર-બદલવામાં આવે તે સુનિશ્વિત કરવા બાબતે પણ તપાસ પંચની ભલામણ સંદર્ભમાં રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી કરશે.
બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ(BIS) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ IS-2190નો ફાયર બાબતે અમલ કરવા, ફાયર સાધનોનું નિરક્ષણ, જાળવણી, ફાયર એન.ઓ.સી., ફાયર સેફ્ટી અને નર્સિંગ હોમ તથા હોસ્પિટલના સ્ટાફને ફાયરની તાલીમ વગેરે સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચાઓ હાથ ઘરવામાં આવી હતી.
રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં અગ્નિ શમન મેહકમ માટે કુલ 2365 જેટલા કર્મચારીઓની જગ્યા ભરી દેવામાં આવી છે અને બાકીની ખાલી જગ્યાઓ ભરવા માટેની કામગીરી પણ એડવાન્સ સ્ટેજમાં છે તેમ પણ આ બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું.

(9:19 pm IST)