Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગાંધીનગર નજીક કચરો નાખવા જેવી બાબતે થયેલ હુમલામાં ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

 

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં ઘર પાસે કચરો નાખવાની નજીવી બાબતમાં તકરાર થઈ હતી અને ત્રણ શખ્સોએ યુવાન ઉપર તલવારથી હુમલો કરતા સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇન્દ્રોડા ગામમાં દરબાર વાસ ખાતે રહેતા નવલસિંહ મગનજી ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારના સમયે તેઓ તેમના ઘરની પાછળ દીકરાના લગ્ન હોવાથી સાફ-સફાઈ કરતા હતા અને કચરો રોડની બાજુમાં ઢગલો કર્યો હતો જેથી મકાનની પાછળ રહેતા ઉદેસિંહ ભરતસિંહ ગોહિલ ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, અહીં કચરો કેમ ફેકો છો. જેથી તેમણે લગ્ન પ્રસંગ પૂરું થયા બાદ આ કચરો ઉપાડી લેવાની વાત કરી હતી. જોકે ઉદેસિંહ મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા હતા અને જેના કારણે નવલસિંહના ભાઈ કરણસિંહ પણ ત્યાં આવી ગયા હતા અને તેમણે ગાળો બોલવાની ના પાડતા ઉદેસિંહે ધક્કો મારી તેમને નીચે પાડી દીધા હતા અને તેમના ભાઈને પણ બે-ત્રણ લાફા મારી દીધા હતા. આ સમયે અંદરો અંદર ઝપાઝપી થતા ગૌતમસિંહ કિરીટસિંહ ગોહિલ અને વિક્રમસિંહ ફતાજી ગોહિલ પણ આ ઉદેસિંહનુ ઉપરાણુ લઈ આવી ગયા હતા અને બોલાચાલી દરમ્યાન વિક્રમસિંહ ગોહિલે કરણસિંહને બાજુમાં પડેલ એક ધોકો લઈને મારતાં પડી ગયા હતા. જેથી ભત્રીજો સંજયસિંહ બહાર આવતાં ઉદેસિંહ ગોહિલ અને ગૌતમસિંહ ગોહિલ તેમના ઘરે જઈ બે તલવારો લઈ આવેલા અને ભત્રીજા ઉપર હુમલો કરી દીધો હતો અને ઉદેસિંહે પોતાના હાથમાંની તલવાર ભત્રીજાના ડાબા ગાલ ઉપર મારી દીધી હતી. જેથી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(8:15 pm IST)