Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3 લાખ કરોડથી વધુનું બજેટ ગુજરાતમાં અમૃતકાળ માટેનો સૂર્યોદય લઈને આવશેઃ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભને આધારે ગુજરાત વિકાસના વધુ નવા શિખરો સર કરશેઃ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર :અંદાજપત્રની પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સતત ચિંતિત તેમજ જરૂરીયાતમંદ વર્ગો સહિત ગુજરાતના તમામ નાગિરકો માટે રજૂ કરાયેલું  અત્યાર સુધીના સૌથી મોટા કદ રૂ. 3 લાખ કરોડથી વધુનું બજેટ ગુજરાતમાં અમૃતકાળ માટેનો સૂર્યોદય લઈને આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભને આધારે ગુજરાત વિકાસનાં વધુ નવા શિખરો સર કરશે.

  મંત્રીએ જણાવ્યું હતું કે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા, માનવ સંસાધનનો વિકાસ, વિશ્વસ્તરીય આંતરમાળખાકિય સવલતો ઊભી કરવા, કૃષિ, ઔદ્યોગિક અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ તથા ગ્રીન ગ્રોથ માટે વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ પર વિકાસની નવી ઈમારત ઉભી થવા જઈ રહી છે. આ વર્ષે ભારતને જી-20નું પ્રમુખપદ મળ્યું છે એ દર્શાવે છે કે, ભારત સમગ્ર વિશ્વમાં પણ પોતાની આગવી છાપ ઉભી કરી રહ્યો છે. જેમાં Make In India, Skill India, Digital India,Sail In Indiaઅને ડીફેન્સ ક્ષેત્રમાંઆત્મનિર્ભર ભારત બનાવવાના દ્રઢ સંકલ્પથી કાર્ય કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આભારી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી ટીમ ગુજરાતના વિકાસ માટે Determination, Determines, Directions, Demonstration અને Dedication એમ “5D”ના સૂત્ર પર કામ કરી રહી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અંદાજે રૂ. 20 હજાર કરોડ જેટલી સહાયની રકમ ડી.બી.ટી. થકી સીધી રીતે લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. સરકારી આવકો સ્વીકારવા સાયબર ટ્રેઝરી હેઠળ ઇલેકટ્રોનિક પદ્ધતિ અમલમાં મૂકી સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપ્યો છે.
તેમણે ઉમેર્યું કે, પંડીત દીનદયાળજીના નામમાં જ અમારી ભારતીય જનતા પાર્ટીનો "એકાત્મ માનવવાદ"નો ઉદ્દેશ સમાયેલો છે. દીનદયાળ એટલે છેવાડાના માનવીનું કલ્યાણ. જેના માટે અમારી સરકાર સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ છે. વિશાળ પ્રતિભાના ધની એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરની રાહબરી હેઠળ તૈયાર થયેલા બંધારણમાં ભારતે “કલ્યાણ રાજ્ય” નો સિદ્ધાંત સ્વીકાર્યો છે.
મંત્રીએ કહ્યુ કે,રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ. 8589 કરોડની જોગવાઇઓ સાથે ચાલુ વર્ષે રૂપિયા 1559 કરોડ એટલે કે 18 ટકાનો વધારો સૂચવ્યો છે. એક જમાનો હતો જ્યારે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી. આજે વિમાન બનવાનું શરૂ થયું છે જે ગુજરાત સરકારની દીર્ઘ દ્રષ્ટીનું પરીણામે શક્ય બન્યું છે. વર્ષ 2023-24ના બજેટમાં ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રૂ.1580 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એ જ રીતે MSME ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે રૂ. 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે,મોટા કદના ઉદ્યોગોને સહાય આપવા માટે સ્કીમ ફોર ઈન્સેન્ટીવ ટુ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝને સહાય યોજના, એરહોસ્ટેસ અને ડીફેન્સ સેક્ટર માટે પ્રોત્સાહન યોજના, મેગા ઈનોવેટીવ પ્રોજેક્ટને સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ થકી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારી વધારવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમૃતકાળમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં MSMEs મોટું માધ્યમ છે. આજે ઉદ્યમ પોર્ટલ પર 1 કરોડથી વધુ MSMEs છે. જે પૈકી, ગુજરાતમાં 10 લાખ થી વધુનું રજીસ્ટ્રેશન થયું છે. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ઔદ્યોગિક ઈકો સીસ્ટમને તથા ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસને પ્રોત્સાહન આપવા ઘણી બધી પોલીસી અમલમાં મુકીને ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતે ગુજરાત બાયોટેકનોલોજી પોલીસી (2022-27), ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી-2022,સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી,નવી આઈ.ટી. પોલીસી, ગુજરાત સેમી કન્ડક્ટર પોલીસી,ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલીસી,સીનેમેટીક ટુરીઝમ પોલીસી (2022-27),ગુજરાત ટુરીઝમ પોલીસી બનાવીને અમલી કરી છે જેના પરિણામે રાજ્યમાં બોમ્બાર્ડીયર કંપની, એલ એન્ડ ટી, મારૂતી સુઝુકી,આર્સેનલ મિત્તલ, ટાટા એરબસ જેવી વિશ્વકક્ષાની કંપનીઓની હાજરી ગુજરાતની આર્થિક નીતિઓને ઉજાગર કરે છે.
એટલું જ નહીં આઝાદ ભારતના ઈતિહાસમાં ધોલેરા ખાતે સૌથી મોટું કોર્પોરેટ રોકાણ થવા જઈ રહ્યું છે જેમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ લગાવવા રૂપિયા 1 લાખ 54 હજાર કરોડનું રોકાણ થશે. તેમાં ભારતની ટોચની માઈનીંગ કંપની વેદાંતા અને તાઈવાનની કંપની ફોક્સકોન સાથે મળીને વિશાળ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. જે ભારતને સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવશે. ગુજરાતના 1 લાખ લોકોને રોજગારી, સેંકડો MSMEs બનશે, તથા દુનિયામાં નકશામાં જે સ્થાન સીલીકોન વેલીનું છે તે સ્થાન ધોલેરાનું બનશે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે,દેશમાં ટોય ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો છે. રાજ્યમાં ટોય પાર્કની પણ સ્થાપના કરવામાં આવનાર છે, અને 70 દેશોમાં ટોય એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એસ.બી.આઈ.ના અહેવાલ પ્રમાણે ભારત 2029 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટુ અર્થતંત્ર બનવાની દિશામાં અગ્રેસર છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડને પાછળ ધકેલીને ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.
આદિજાતિ વિસ્તારોમાં 8-એગ્રો પ્રોસેસીંગ માટે, 2-સીફૂડ પ્રોસેસીંગ માટે,2-જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય લેવાયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે રાજ્ય સરકારની સહાય પેટે રૂ.23 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેના પરિણામે આજે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ ડીફેન્સ એક્પોમાં 75થી વધુ દેશોએ ભાગ લીધો હતો. જેમાં 451 થી વધુ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. “Path to Pride”અને“Invest for Defense” ના સુત્રોને સાચા અર્થમાં સાકારીત કરવામાં આવેલ છે.આ ડીફેન્સ એક્સપોમાં 1100 જેટલી 100% ભારતીય (Indigenous) કંપનીઓએ ભાગ  લીધો હતો. જે ખરેખર દેશ માટે ગૌરવની વાત છે.ભારત 75 દેશોને સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરનારો દેશ બન્યો છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસમાં છેલ્લા 5 વર્ષમાં 6 ગણો વધારો થયો છે.
મંત્રીએ ઉમેર્યું કે, સંકલ્પથી સિદ્ધિનું પ્રતિક એ મોદી સરકારનો મંત્ર છે. હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. હેલિકોપ્ટર ફેક્ટરીનું 2016માં શિલાન્યાસ કરવામાં આવ્યો. અને તેનું જ 2023માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. (HAL)નું વિસ્તરણ અને વિકાસ કરીને આજે લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટ (LCH), ઈન્ડીયન મલ્ટીરોલ્સ હેલીકોપ્ટર (IMRH)નું ઉત્પાદન અને રીપેરીંગનું કામકાજ હાથ ધરવામાં આવે છે. ભવિષ્યમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. (HAL) દ્વારા અન્ય દેશોમાં હેલીકોપ્ટનો નિકાસ કરવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતના રાજકોટના શ્રીમતી પ્રિતીબેન પટેલ કે જેઓએ રાસ્પીયન એન્ટરપ્રાઈઝ લી. કંપનીના સી.એમ.ડી. છે. જે કંપનીએ રાજકોટમાં પિસ્તોલ  અને એસોલ્ટ રાઈફલ બનાવવા માટેના પ્લાન્ટની સ્થાપના કરાઈ છે.
તેમણે કહ્યુ કે, ગુજરાત સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઈનોવેશન પોલીસી બનાવી છે. તે અંતર્ગત હજારો વિદ્યાર્થીઓ સાચા અર્થમાં માનવ સંસાધન બનીને ઉભરી આવ્યા છે. યુવાનોના Startupsની વાત હોય તો i-Create, i-Hubની પહેલ ગુજરાતે કરી છે. ગુજરાત સરકાર ચાર S એટલે, Student, Startup, Support અને System પર કામ કરી રહી છે. ગુજરાત સરકારે બાવળાની બાજુમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતી  ગૌરવાન્વિત i-Create નામની સંસ્થા કાર્યરત છે. i-Create સાથે જોડાનાર પ્રત્યેક સ્ટાર્ટઅપ કહી રહ્યું છે કે, I have Created Gujarat એટલે કે, આ ગુજરાત અમે બનાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે જી.ટી.યુ. ઈનોવેશન કાઉન્સીલ દ્વારા અત્યારસુધી 3,348 ઈનોવેટીવ પ્રોજેક્ટને સપોર્ટ આપવામાં આવ્યો છે. અને કુલ 733 જેટલાં સ્ટાર્ટઅપ બનાવીને 127 પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે. i-Hubમાં 430 સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યા છે. અને તે અંતર્ગત 1500 કરોડ રૂપિયાની આવક ઉભી કરીને 5000થી વધુ લોકોને રોજગારી આપવામાં આવી છે. રાજ્યોને સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમને પ્રોત્સાહન આપવા માટે 2018થી કેન્દ્ર સરકાર દ્વારા રેંકીંગની શરૂઆત કરવામા આવી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ રેંકીંગમાં ગુજરાત અને કર્ણાટક પ્રથમ ક્રમે રહેલું છે તેમ તેમણે ઉમેર્યુ હતું

 

(7:51 pm IST)