Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સલવાવની સ્વામિનારાયણ ગુરુકુળમાં 22 વર્ષીય યુવાને ભેદી સંજોગોમાં આપઘાત કરતા અરેરાટી

વાપી: નજીકના સલવાવ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૃકુળમાં સેવક કમ પૂજારી તરીકે કામ કરતા વડોદરાના ૨૨ વર્ષીય યુવાને ભેદી સંજોગોમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. ૬ મહિના અગાઉ જ આ યુવાન સંસ્થામાં જોડાયો હતો. તેના મોત અંગે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
વાપી નજીકના સલવાવ ગામે સ્વામિનારાયણ ગુરૃકુળમાં વડોદરાનો નરેશ દિનેશભાઈ ગોહિલ (ઉ.વ.૨૨) છેલ્લા ૬ મહિનાથી સેવક કમ પૂજારી તરીકે કામ કરતો હતો. ગઈકાલે મોડી સાંજે મંંદિરમાં આરતી સમયે નરેશ ગોહિલ હાજર નહીં રહેતા અન્ય કર્મચારીઓએ સંસ્થાના સંચાલકને જાણ કરી હતી.
બાદમાં સંચાલક અને અન્ય કર્મચારીઓ નરેશની રૃમ પર પહોંચી દરવાજો ખટખટખાવવા છતાં કોઈ જવાબ નહીં મળતા દરવાજો ખોલી અંદર પ્રવેશતા નરેશની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી. તુંરત ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવતા તેના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી નરેશની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમમાં મોકલી દીધી હતી. પીએમ રિપોર્ટમાં નરેશનું શ્વાસ રૃંધાવાથી મોત થયું હોવાનું તારણ બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો વાપી પહોંચી ગયા હતા. ડુંગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

(6:37 pm IST)