Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાણીપમાં ઉમેદવારો રીપીટ થતા ભાજપમાં ભડકો થયો

સોસાયટી બહાર લાગ્યા બેનર : ભાજપ દ્વારા ૬ મહાનગરપાલિકા માટે ૫૭૫ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જોકે ઠેર ઠેર અસંતોષ

અમદાવાદ,તા.૬ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ૬ મહાનગરપાલિકા માટે ૫૭૫ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવે આ લિસ્ટને લઈને પાર્ટીમાં ઠેર ઠેર અસંતોષનો પલીતો ચિંપાયો છે. રાજ્યમાં ઠેર-ઠેર ભાજપની અંદર અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે. તેવામાં અમદાવાદમાં પણ ભાજપ કાર્યકરો અને નેતાઓની ટિકિટ કપાતાં ભારોભાર અસંતોષ ફેલાયો છે. આ અસંતોષ ક્યાંક સૂત્રોચ્ચાર સ્વરુપે તો ક્યાંક પક્ષના કાર્યાલય બહાર ધરણા સ્વરુપે દેખાઈ રહ્યો છે. હવે અમદાવાદના રાણીપ અને ન્યુ રાણીપમાં અસંતોષ બેનર વોરમાં ફેરવાઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નં ૫માં આવતા રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તારમાં ભાજપ દ્વારા ઉમેદવારોને રીપીટ કરવામાં આવતા કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે. જેના ફળ સ્વરુપે ઠેકઠેકાણે બેનરો મારવામાં આવ્યા છે.

આ બેનરમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી રાણીપ વોર્ડ નંબર ૫ અંતર્ગત આવતા રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તારમાં ઉમેદવારોને રીપીટ કરતા જાહેર જનતા અસંતુષ્ટ છે. આ સ્પષ્ટપણ દર્શાવે છે કે ભાજપની ટિકિટ ફાળવણી બાદ વોર્ડમાં કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણીએ જોર પકડ્યું છે અને તેના પરિણામ ભાજપને ચૂંટણીમાં ભોગવવા પડે તો નવાઈ નહીં. બીજી તરફ આ વખતે ભાજપે નો રિપીટ થીયરીને અનુસરીને ઘણા સિટિંગ કોર્પોરેટરનીં ટિકિટ કાપી છે. આવા કોર્પોરેટર તેમજ તેમના સમર્થક ભાજપ કાર્યકરોમાં ભારે અસંતોષ સામે આવ્યો છે.

અસંતોષના કારણે અમદાવાદ ભાજપમાં ઘણા રાજીનામાં પાડવાની ભીતિને પગલે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. ગઈકાલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. પ્રદિપસિંહ જાડેજા ખાનપુર ભાજપ કાર્યાલય પહોચ્યા હતા જ્યાં આઇકે જાડેજા સહિતના આગેવાનો સાથે બેઠક કરી હતી અને નારાજ કાર્યકરોની વાત પણ સાંભળી હતી. નવા ઉમેદવારોને ટિકિટ અપાતા ભાજપમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. હાલ ભાજપ આંતરિક અસંસતોષ ડામવાના પ્રયાસોમાં લાગી ગયું છે.

(7:56 pm IST)