Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

બ્રોન્‍કોજેનિક સિસ્‍ટમથી પીડિત મોરબીના નવજાત શિશુનું હૃદય અચાનક ધબકતુ બંધ થઇ જતા અમદાવાદ સિવિલની યુએન મહેતા હોસ્‍પિટલના તબીબોએ પુનઃ ધબકતુ કર્યુ

ગાંધીનગરઃ બ્રોન્કોજેનિક સિસ્ટથી પીડિત મોરબીના એક બાળકનું હૃદય અચાનક ધબકતુ બંધ પડી ગયું. ત્યારે અમદાવાદ સિવિલની યુએનમેહતા હોસ્પિલૉટલના તબીબોએ ઇશ્વરકૃપાથી તેનું પુનઃ જીવન બક્ષ્યું.

બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકની કિકીયારીઓ સમગ્ર ઘરના વાતાવરણને રમણીય બનાવી દે છે. પરંતુ ઘણા પરિવારોમાં જન્મેલ નવજાત શિશુ જન્મ સાથે અનેક સમસ્યાઓથી ઘેરાઇ જાય છે. આવુ જ કંઇક બન્યુ મોરબીના શૈલેષભાઇ રાઠવા સાથે.

રાજવીરને પહેલાં રાજકોટ લઇ ગયા

રાજવીરને એકા-એક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. સમગ્ર પરિવાર ચિંતાતુર બનતા મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા. ત્યાં તો રાજવીરને ઓક્સિજન પર રાખવો પડ્યો. રાજવીરની હાલત સમય જતા વધુ નાજુક થવા લાગી. જેથી વધુ સધન અને શ્રેષ્ઠ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામા આવ્યા.. પરંતુ રાજકોટમાં તબીબોને રાજવીરની સ્વાસ્થ્ય તકલીફોમાં હ્યદય સંબંધિત તકલીફો પણ અતિગંભીર જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને રીફર કર્યો હતો.

5 મહિનાના નવજાત રાજવીરને તેમના માતા-પિતા અમદાવાદ સિવિલ મેડિસીટીમાં શ્વાસ લેવામાં પડતી તકલીફની ફરિયાદ સાથે લાવ્યા હતા. એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હ્યદયના ઘબકારા અપ્રમાણસર બન્યા.મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા.

તબીબી સારવાર ચાલી રહી હતી એવામાં હ્યદયના ધબકારા બંધ પડી ગયા !!! જીંદગી અને મોત વચ્ચે રીતસર ઝઝૂમી રહેલા રાજવીરને અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા ભરી સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા Cardiopulmonary resuscitation (CPR) (કૃત્રિમ રીતે હ્યદય પર દબાણ ઉભુ કરી હ્યદયને પુન:ધબકતુ કરવુ) અને ઇન્જેકશન આપી રાજવીરના હ્યદયને પુન:ધબકતુ કરીને ચમત્કાર સર્જી દીધો હતો.

નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ

રાજકોટ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવી રહ્યા હતા ત્યારે રાજવીરના હ્યદયના ધબકારા નાજૂક બનતા યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ.

સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યુ કે છાતીના ભાગમાં 6*5*4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી જે રાજવીરના ફેફસા અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઉભુ કરી રહી હતી જે કારણોસર જ રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી. જેણે તબીબોએ ભારે જહેમત બાદ નિયંત્રણ મેળવ્યુ. રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આકસ્મિક જરૂરિયાત ઉભી થતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

ડોક્ટરોએ માતા-પિતાને આશ બંધાવી

આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે જે જન્મજાત જ હોય છે પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે.જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી હતી. જે સાંભળી રાઠવા પરિવાર ગભરાઇ ગયું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને આશ બાંધી કે રાજવીરને કંઇ જ નહીં થાય આ જંગ આપણે જીતીશુ.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનું બીંડુ ઉપાડીને નવજીવન બક્ષવા કટિબધ્ધ થયા. એનેસ્થેસિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.ભાવના રાવલના સહયોગથી સમગ્ર ટીમે અત્યંત જોખમી એવી બ્રોન્કો જેનિક સિસ્ટની સર્જરી હાથ ધરી. સર્જરી દરિમયાન 6*5*4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી . આ ગાંઠ ફેફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી.

રાજવીરની સર્જરી કર્યા બાદ બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, સહ પ્રાધ્યાપક ડૉ. સૂચેતા મુનશી,મદદનીશ પ્રાધ્યાપક ડૉ. અનુયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ 1 દિવસ વેન્ટીલેટર પર અને 10 થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યુબ એટલે કે નળી વાટે દૂધ પીવડાવવામાં આવતુ હતુ. જે 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતુ થયુ. 10 થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે જહેમત બાદ રાજવીર સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ધરે પરત ફર્યુ.

શું છે બ્રોન્કોજેનિક સિસ્ટ ?

બાળકનો ગર્ભમાં જ્યારે વિકાસ થઇ રહ્યો હોય છે ત્યારે શ્વાસનળીની રચના દરમિયાન શરીરમાં ઘટકો છૂટા પડતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જૂજ કિસ્સામાં ઘટકો શ્વાસનળીની બહાર પડી જતા ગાંઠની રચના થવા લાગે છે જે સમય જતા વિશાળકાય સ્વરૂપ ઘારણ કરે છે. આ તકલીફની સમયસર સર્જરી કરવી અતિઆવશ્યક બની રહે છે. અમૂક કિસ્માં આ ગાંઠમાં જો પાણી ભરાઇ જાય અથવા ઇન્ફેક્સન લાગે ત્યારે અન્ય અંગોમાં તે દબાણ ઉભું કરે છે. જે કારણોસર દર્દી અત્યંત કપરી પરિસ્થિતિમાં મૂકાઇ જાય છે.જીવ ગુમાવવાનું પણ જોખમ રહેલું હોય છે. આ પ્રકારના કિસ્સા 50 થી 60 હજારે એક બાળકમાં જોવા મળે છે.

(5:19 pm IST)