Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમદાવાદમાં ૩૦ કરોડના ખર્ચે છ ફલાય ઓવર બનશે

શહેરમાં છ મોડેલ રોડ માટે ૩૦ કરોડની જોગવાઇ : વાડજ દાંડી ચોક, નરોડા પાટિયા, મણિનગર રેલ્વે ક્રોસીંગ, શાહીબાગ ડફનાળા સહિતની જગ્યા ઉપર બ્રિજ બનાવાશે

અમદાવાદ,તા.૬ : અમ્યુકોના આજરોજ મંજૂર થયેલા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા મહત્વના વિકાસ કાર્યોની જાહેરાત કરાઇ હતી. તેમાં મહત્વની જાહેરાત એ પણ હતી કે, શહેરમાં રૂ.૩૦ કરોડના ખર્ચે છ ફલાયઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેમાં વાડજ દાંડી ચોક, નરોડા પાટિયા, મણિનગર રેલ્વે ક્રોસીંગ, શાહીબાગ ડફનાળા, નરોડા ગેલક્સી સિનેમા અને વિનોબાનગર-વિવેકાનંદનગરને જોડતો લો લેવલ બ્રીજનો સમાવેશ થાય છે. તો આ જ પ્રકારે શહેરમાં છ મોડેલ રોડ માટે પણ રૂ.૩૦ કરોડની ખાસ જોગવાઇ કરાઇ છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરૂપે હાલ અમદાવાદ શહેરમાં અંજલિ ચાર રસ્તા ફલાયઓવર, ઇન્કમટેક્ષ ચાર રસ્તા, વિરાટનગર જંકશન, અજીતમીલ જંકશન, નરોડા રેલ્વે ક્રોસીંગ, સીમ્સ હોસ્પિટલ, રાજેન્દ્રપાર્ક જંકશન ફલાયઓવર તથા ખોખરા અનુપમ રેલ્વે ઓવરબ્રીજ વાઇડનીંગની કામગીરી ચાલી રહી છે. આ જ રીતે જગતપુર રેલ્વેક્રોસીંગ તથા ચાંદલોડિયા, રાણીપ નવા રાણીપબ્રીજ નીચે અંડરપાસ, ઘોડાસર સ્મૃતિમંદિર જંકશન ખાતે ફલાયઓવર, પાલડી જંકશન, નારણપુરા પલ્લવ ચાર રસ્તા, સત્તાધાર ચાર રસ્તા ફલાયઓવરની કામગીરી આયોજનમાં છે. આ સિવાય નવા આયોજનમાં વાડજ દાંડી ચોક ખાતે ફલાયઓવરબ્રીજ તૈયાર કરવાનું આયોજન છે, જેથી ગાંધીનગર તથા નવા વાડજ તરફ જતો ટ્રાફઇક નોન સ્ટોપ ટ્રાફિક થઇ શકે છે, જે ધ્યાને લઇ આ બજેટમાં દાંડીચોક ખાતે ફલાયઓવરબ્રીજ માટે રૂ.દસ કરોડની પ્રારંભિક જોગવાઇ કરાઇ છે. તો, શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા પાટિયા જંકશનની ટ્રાફિક સમસ્યા હળવી કરવા નરોડા પાટિયા જંકશન ખાતે પણ ફલાયઓવરબ્રીજ બનાવવા રૂ. દસ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં ૭૬ કિલોમીટરના રિંગરોડની આસપાસ એફોર્ડેબલ હાઉસીંગના પ્રોજેકટ થઇ રહ્યા છે, જેના કારણે પૂર્વ તરફના વિસ્તારની મોટી વસાહતો સાથે આ વિસ્તાર સંકળાઇ રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં વિનોબાભાવે નગર અને વિવેકાનંદ નગરની વસાહતો વચ્ચે ખારી નદીનો ભાગ આવેલો છે. જે નદીના ભાગના કારણે બંને વસાહતોમાં જવા માટે ઘણું અંતર કાપવુ પડે છે. આસપાસના વિસ્તારના લોકોને બારેજડી, નાંદેજ તરફ જવા માટે પણ સરળતા રહે અને આ અંતર ઘટાડી શકાય તે હેતુથી વિનાબાભાવે નગર અને વિવેકાનંદ નગરને જોડતો લો-લેવલબ્રીજ તૈયાર કરવા માટે પણ રૂ.પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાથે સાથે શાહીબાગ ડફનાળા, મણિનગર રેલ્વે ક્રોસીંગ, નરોડા ગેલેક્સી સિનેમા ખાતે પણ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફલાયઓવરબ્રીજ અને રેલ્વે ઓવરબ્રીજ માટે ફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા રૂ.પાંચ કરોડની જોગવાઇ કરાઇ છે. મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટ ે અંતમાં ઉમેર્યું કે, શહેરમાં વિશિષ્ટ ડિઝાઇન સાથે મોડેલ રોડ તરીકે વિકસાવવા માટે છ ઝોનમાં સાયન્સસીટી રોડ, કોર્પોરેટ રોડ-સરખેજ, નિકોલ રોડ, વસ્ત્રાલ રોડ, મણિનગર રોડ અને અસારવા રોડને રૂ.૩૦ કરોડના ખર્ચે મોડેલ તરીકે નિર્માણ કરવાનું આયોજન કરાયું છે, જે અંગે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે.

 

(9:33 pm IST)