Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરત કોર્પોરેશનમાં અસહ્ય વેરા વધારા સામે કોંગ્રેસનો હોબાળોઃ જાળી - બારણા તોડી નાખ્યા

વિપક્ષને વિરોધ કરતા નથી આવડતોઃ કોંગ્રેસ દ્વારા લોકશાહીનું ખૂનઃ ધનસુખભાઇ ભંડેરીનો આક્રોશ : કોંગ્રેસ અગ્રણી દિનેશ કાછડીયાને ઇજા થતાં સારવાર હેઠળ

સુરત તા. ૬ : સુરત કોર્પોરેશન દ્વારા બજેટમાં અસહ્ય વેરો વધારો ઝીંકવામાં આવતા આ વેરો વધારો પાછો ખેંચવાની માંગણી સાથે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ હલ્લાબોલ મચાવતા દોડધામ મચી ગઇ હતી અને નોટબંધી, જીએસટી બાદ પ્રજા ઉપર વેરો ઝીંકવામાં આવતા આક્રોશ ઠાલવ્યો હતો. કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરતા પોલીસ ટીમને પણ બોલાવવી પડી હતી.

સુરતમાં SMCના સ્ટેન્ડિંગની બેઠકમાં મોટો હોબાળો થયો હતો. વેરા વધારા મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બારણા પર ચઢીને હંગામો મચાવ્યો હતો. તો લગભગ બે કલાક સુધી કોંગ્રેસે વિરોધ ચાલુ રાખ્યો હતો. સ્થાયી સમિતિની બહાર હોબાળો, કોગ્રેસના કાર્યકર્તાઓએ એટલા આક્રમક થઈ ગયા હતા, કે કેટલાક તો લોખંડની જાળી પર ચઢી ગયા હતા અને આ જાળી પણ તોડી દેવામાં હતી. કાર્યકર્તાઓ બારણા તોડીને બેઠકમાં ચઢ્યા હતા. કોંગ્રેસનાક કાર્યકર્તાઓએ કહ્યું કે, જે પ્રકારે વેરો વધારવામાં આવ્યો છે, તે અસહ્ય છે. તેનાથી સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ શકે છે. તેથી જનતા માટે થઈને આ વિરોધ કરી રહ્યા છે. તેમણે હાય રે કમિશ્નર, તાનાશાહી નહિ ચલેગીના નારા લગાવવામાં આવ્યા હતા.

વેરો વધારવાના મનપાના નિર્ણયને પરત ખેંચી લેવામાં આવે તેવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ માંગ કરી હતી. આક્રમક તેવર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહી પહોંચ્યા હતા, અને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. વિરોધ કરવા માટે કોંગ્રેસે જે રીતે અપનાવી હતી, તે આક્રમક હતી.

જેને પગલે કોંગી કાર્યકર અને SMCના કર્મીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આ વચ્ચે કેટલાક કાર્યકર્તાઓએ પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા.

આ દરમિયાન કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ કાછડીયાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તો બીજી તરફ કોંગ્રેસના મનીશ દોશીએ કહ્યું કે, ટેકસ ભરતા નાગરિકોને સુવિધાના બદલે વેરો વધારી દેવાયો છે. વેરો વધાર્યો ત્યારે જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. શહેરી નાગરિકોના હિત માટે કોંગ્રેસનો વિરોધ છે.

લોકતંત્રમાં લોકોના પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર છે. ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ જનતા બની રહી છે.

આ મામલે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, બંને પક્ષોને પોતાની વાત કરવાનો અધિકાર છે. વિપક્ષને વિરોધ કરતા નથી આવડતું. કોંગ્રેસ લોકશાહીનું ખુન કરી રહી છે.

આ વિરોધ મામલે સુરતના મેયર અસ્મિતા સિરોહીએ કહ્યું કે, સુરત મ.ન.પા.નું વિશ્વ સ્તરે નામ છે, ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પોતાનો ભાગ ભજવી રહી છે.

સુરતના મનપાના બજેટ સામે વિપક્ષ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

સુરતની પ્રજા ઉપર લાદેલા વેરા ભારણનો વિરોધ કર્યો હતો. સ્થાયી સમિતીના ખંડની બહાર જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

(3:34 pm IST)